દુલીપ ટ્રોફીમાંથી બહાર થયો ઈશાન કિશન, આ ખેલાડીને મળી કેપ્ટનશિપ; રિપ્લેસમેન્ટની કરાઈ જાહેરાત

દુલીપ ટ્રોફી 2025 શરૂ થાય તે પહેલા, ઈશાન કિશનની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો કેપ્ટન ઈશાન કિશન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે અને તેના સ્થાને 20 વર્ષીય ખેલાડી આશીર્વાદ સ્વૈનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓડિશા ક્રિકેટ એસોસિએશને સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. ઈશાનને થોડા સમય પહેલા ઈસ્ટ ઝોનની કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી, તેથી તેનું બહાર થવું ટીમ માટે મોટો ઝટકો છે.
અભિમન્યુ ઈશ્વરન ઈસ્ટ ઝોનની કેપ્ટનશિપ કરશે
ઈશાન કિશનની ગેરહાજરીમાં, બંગાળનો બેટ્સમેન અભિમન્યુ ઈશ્વરન ઈસ્ટ ઝોન ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. તમને જણાવી દઈએ કે ઈશ્વરન ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમનો ભાગ હતો, પરંતુ તેને ત્યાં એક પણ મેચ રમવાની તક નહતી મળી. દુલીપ ટ્રોફીમાંથી ઈશાન કિશનના બહાર થવાનું કારણ હજુ સ્પષ્ટ નથી.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આશીર્વાદ સ્વૈનના આંકડા
આશીર્વાદ સ્વૈન વિશે વાત કરીએ તો, તેણે અત્યાર સુધીમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11 મેચ રમી છે, જેમાં તેણે 21 ઈનિંગ્સમાં 30.75ની એવરેજથી 615 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો હાઈએસ્ટ સ્કોર 77 રન રહ્યો છે અને તેણે ત્રણ અડધી સદી ફટકારી છે. બેટિંગની સાથે વિકેટકીપિંગમાં પણ તેનું પ્રદર્શન સારું રહ્યું છે. તેણે 32 કેચ અને 3 સ્ટમ્પિંગ પણ કરી છે. તમને જણાવી દઈએ કે દુલીપ ટ્રોફી 2025ની પહેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઈસ્ટ ઝોનનો સામનો નોર્થ ઝોન સાથે થશે. આ મેચ 28થી 31 ઓગસ્ટ દરમિયાન બેંગલુરુના BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ગ્રાઉન્ડ ખાતે રમાશે.
દુલીપ ટ્રોફી 2025 માટે ઈસ્ટ ઝોનની ટીમ
અભિમન્યુ ઈશ્વરન, આશીર્વાદ સ્વૈન (વિકેટકીપર), સંદિપ પટનાયક, વિરાટ સિંહ, ડેનિશ દાસ, શ્રીદામ પોલ, શરણદીપ સિંહ, કુમાર કુશાગ્ર, રિયાન પરાગ, ઉત્કર્ષ સિંહ, મનીષી, સૂરજ સિંધુ જયસ્વાલ, મુકેશ કુમાર, આકાશ દીપ અને મોહમ્મદ શમી.
સ્ટેન્ડબાય: મુખ્તાર હુસૈન, વૈભવ સૂર્યવંશી, સ્વસ્તિક સામલ, સુદીપ કુમાર ઘરમી અને રાહુલ સિંહ.

