Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Mangoes will maintain health balance during summer: A surefire remedy for ailments ranging from heatstroke to skin diseases

ગ્રીષ્મ ઋતુમાં સ્વાસ્થ્યની સમતુલા જાળવશે કેરી: લૂથી લઈને ત્વચાના રોગોનો રામબાણ ઈલાજ

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ગ્રીષ્મ ઋતુમાં સ્વાસ્થ્યની સમતુલા જાળવશે કેરી: લૂથી લઈને ત્વચાના રોગોનો રામબાણ ઈલાજ
સોર્સ : GSTV

ગ્રીષ્મ ઋતુમાં અનેક રોગોને દૂર કરી સ્વાસ્થ્યની સમતુલા જાળવી રાખવા માટે આપણને મળેલી પ્રકૃતિની ભેટ એટલે કેરી. કેરીનું લેટિન શાસ્ત્રીય નામ મેન્જીફેરા ઈન્ડીકા એ વાતની સાબિતી આપે છે કે, આ ફળનું મૂળ વતન ઈન્ડીયા-ભારત છે. ચીની યાત્રી હ્યુ એન ત્સાંગે તેની યાત્રાપોથીમાં આપણે દેશના આ ફળને અદ્દભુત સુંદર ફળ તરીકે વખાણ્યું. તો મોગલ બાદશાહ બાબરે કેરીને એના વિરલ સ્વાદને લઈને બીરદાવી. એ કાળમાં લખાયેલા પુસ્તક બાબરનામામાં પણ કેરીની ઘણી પ્રશંસા થઈ. ઈતિહાસ કહે છે કે, રસનિવૃત (?) બાદશાહ ઔરંગઝેબ પણ કેરીના આકર્ષણથી બચી ન શક્યા. કેરીના રસાસ્વાદથી અભિભૂત થઈ એમણે લાલબાગમાં એક લાખ આંબા ઉગાડવાનું ફરમાન કરેલું. જગવિખ્યાત કવિ અમિર ખુસરોથી લઈ કવિહ્ય્દય પંડિત જવાહરલાલ આ આમ્રરસથી મોહિત-સંમોહિત થયા હતાં. અરે, વેદની ઋચાઓ અને પુરાણોમાં પણ આ અપ્રતિમ આમ્રફળ-કેરીના ઉલ્લેખો મળી આવે છે. સંસ્કૃત કવિઓએ કેરીને ફલાધિરાજ એટલે કે ફળોનો રાજા એવું નામ આપી ફળ સમુદાયમાં અગ્રેસર સ્થાન આપ્યું. આજ કેરીને મધુફળ, રસાળ, કલ્પવૃક્ષ, મધુદૂત અને કોયલનું પ્રિય વૃક્ષ હોવાથી પિકવલ્લભા જેવા નામોથી અલંકૃત કરી.

App Store

હોળીના અરસામાં કેરીના મરવા બેસે. અખાત્રીજ પછી સાખ પડે અને રોહિણી નક્ષત્રમાં કેરી પાકીને તૈયાર થાય - એ કેરી ખાવાની શરૂઆતનો સાચો સમય છે. વરસાદ શરૂ થાય એટલે કેરી ખાવી બંધ કરવી. આપણે હવે કાર્બાઈડથી પકવેલી કેરી ખાતા થઈ ગયાં છીએ ત્યારે એટલું યાદ રાખવું ઘટે કે કમોસમી અને કૃત્રિમ રીતે પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્યને અચૂક નુકસાન થાય છે. વળી, દૂધ સાથે કેરી ન ખાવાની પ્રાચિનોએ ભલામણ કરી છે. ભોજન સાથે કેરી ખાવાની રીતી આપણે અપનાવી તો લીધી છે પણ ભોજનના કલાક એક પહેલાં કેરી ખાવી હિતાવહ છે. કેરીની સાતસો જેટલી વિવિધ જાતો બજારમાં ઉપલબ્ધ છે. પોષણ, સ્વાદ અને સુગંધની દ્રષ્ટિએ હાફુસ અને કેસર શ્રેષ્ઠ છે. કેરીના પોષણયુક્ત તત્ત્વોની વાત કરીએ તો પ્રત્યેક સો ગ્રામ પાકેલી કેરીમાં પંચોતેરથી એંશી ટકા કિલો કેલરી રહેલી છે. તેમાં રહેલા કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાના બંધારણ અને વિકાસ માટે ઉપયોગી થઈ રહે છે. તેમાં રહેલુ આયર્ન જેવંમ ખનીજ રક્તની ગુણવત્તા સુધારે છે. તેમાં રહેલા વિટામીન B  અને C રક્તનલિકાઓની આકુંચન ક્ષમતા વધારી રક્તભ્રમણ સુધારે છે અને અંત:સ્ત્રાવી ગ્રંથીઓનું કાર્ય સારી રીતે ઉપજે એ માટે મદદરૂપ થાય છે. કેરીમાં પ્રચૂર માત્રામાં રહેલું કેરોટીન (વિટામીન A બનવા માટે જરૂરી ઘટક) આંખોના સ્વાસ્થ્ય માટે અતિઉપયોગી છે. વળી, વિટામીન A શરીરની રોગપ્રતિકાર શક્તિ જાળવવા મહત્ત્વનો ભાગ ભજવે છે. કેરીમાં રહેલા સાઈટ્રેટ ક્ષારથી રક્તની ક્ષારિયતા જળવાઈ અમ્લતા ઘટે છે. કેરી જેવું ફળ રક્તના રસાયણ મૂલ્ય જાળવી રાખી શરીરમાં પેદા થતાં વિષ તત્ત્વોનો નિકાલ કરવા સમર્થ છે. જેથી પ્રાચિનોએ પાકી કેરીને ત્વચાનો વર્ણ સુધારી કાંતિ આપનાર, બળ તથા સુખ આપનાર, ભૂખ લગાડનાર, વીર્ય અને વજન વધારનાર અને હ્ય્દયને હિતકારી કહી છે. ચૂસીને ખાધેલી કેરી ખાવા પ્રત્યે રૂચિ  વધારનાર અને પચવામાં હળવી છે. જ્યારે ધોળીને રસ કાઢેલી કેરી પચવામાં ભારે છે.

ઉનાળામાં રોજીંદા આહાર તરીકે કેરી ફાયદો તો કરે જ છે એ સિવાય વિશિષ્ટ રોગાવસ્થામાં આમ્રવૃક્ષના ઔષધીય ગુણો પણ પારાવાર છે. આવો, એની સૂચિ પર નજર નાખીએ.

 ઉલટીમાં આંબાના પાંચ કૂણા પાનનો રસ વાટી, સાકર ઉમેરી પીવો.

 ગરમીને કારણે નસકોરી ફૂટતી હોય તો આંબાની ગોટલી ઘસી એના પાણીના બે-બે ટીપાં નાકમાં પાડવા.

 માથાના ખોડામાં આંબાની ગોટલી પથ્થર પર ઘસી, વાળના મૂળમાં લગાવી લેપ કરી રાખવો.

 ખીલ અને અળઈ પર કેરીની ગોટલી પથ્થર પર બારીક લસોટી લેપ કરવો.

 ગરમીને કારણે થતાં અતિસાર-ઝાડામાં આંબાની છાલનો ઉકાળો લેવો.

 ઉનાળામાં ગરમીને કારણે લાગતી લૂ (SUN STROKE) માં કાચી કેરીનો બાફલો લેવો.

 લાંબા સમય સુધી પુષ્કળ માત્રામા માસિક આવતું હોય એવી સ્ત્રીઓએ આખો ઉનાળો એક ટંક ભોજન છોડી માત્ર પાકેલી કેરી ખાવી.

 બરોળવૃદ્ધિને કારણે બ્લડ રીપોર્ટમાં શ્વેતકણો (WBC) વધતાં હોય, જીરણ તાવ અને અરુચિ રહેતી હોય તેવી વ્યક્તિઓએ આખો ઉનાળો નિયમીત એક ટંક માત્ર પાકી કેરી ખાવી.

 અલ્સરેટીવ કોલોઈટીસ અને હોજરીના ચાંદામાં રોગીઓએ પાંચ દિવસ સુધી અન્ન ત્યાગી માત્ર કેસર અને હાફુસ જેવી સારી ગુણવત્તાવાળી અને સારી રીતે પકવ થયેલી કેરી પર જ રહેવું.

 યુનાની ચિકિત્સકોના મતે પાકી કેરી મૂત્રમાં રહેલાં યુરીક એસીડ અને ક્રિએટીનીન જેવાં તત્ત્વોનું શમીકરણ કરે છે તથા ક્ષય (TB) જેવી રોગાવસ્થામાં લાભદાયક છે.

માછલી કે માંસ-ભોજનથી અજીર્ણ થયું હોય, બગડી ગયેલું માસ ખાવાથી ફૂડ-પોઈઝનીંગ થયું હોય, લાંબા સમયના માંસાહારની ટેવને કારણે આંતરડાની કાર્યક્ષમતા બગડી હોય તેવી વ્યક્તિઓ માટે કેરીનું સેવન સ્વાસ્થ્યપ્રદ છે.

 વૃધ્ધ વ્યક્તિઓ, લાંબી માંદગી બાદ વજન ઘટી ગયું હોય એવી વ્યક્તિઓ અને વજન વધારવા ઈચ્છુક વ્યક્તિઓએ આખો ઉનાળો નિત્ય કેરીના રસનું સેવન કરવું.