VIDEO: Health/ લગ્ન ન કરવાથી કેન્સરનું જોખમ વધે છે! જાણો, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
કેન્સરના કારણો અને તેનું જોખમ વધારનારા પરિબળો જાણવા માટે સતત સંશોધનો થતા રહે છે. તાજેતરમાં 'કેન્સર રિસર્ચ કોમ્યુનિકેશન' પર પ્રકાશિત સિલ્વેસ્ટર કોમ્પ્રેહેન્સિવ કેન્સર સેન્ટરના એક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ, ક્યારેય લગ્ન ન કરનારા લોકોમાં કેન્સરનું જોખમ પરિણીત લોકોની સરખામણીએ ઘણું વધારે હોય છે. જણાવી દઈએ કે આ સંશોધન કરનાર સેન્ટર યુનિવર્સિટી ઓફ મિયામી મિલર સ્કૂલ ઓફ મેડિસિનનો એક ભાગ છે.
ટોચ પર મળ્યું ગુદા અને સર્વાઈકલ કેન્સર
અપરિણીત લોકોમાં HPV (હ્યુમન પેપિલોમા વાયરસ)ને કારણે થતા કેન્સરનું જોખમ સૌથી વધુ જોવા મળ્યું હતું. આ વાયરસને કારણે અપરિણીત પુરુષોમાં ગુદા કેન્સર (Anal Cancer)ના કિસ્સા 5 ગણા અને અપરિણીત મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરના કિસ્સા 3 ગણા વધુ જોવા મળ્યા હતા. આ ઉપરાંત, પરિણીત લોકોની સરખામણીએ અપરિણીત લોકોમાં તમાકુને કારણે થતા ફેફસાં અને અન્નનળીના કેન્સરના કિસ્સા પણ વધુ હતા, જેની પાછળ દારૂ અને ધૂમ્રપાનની આદતો જવાબદાર હોઈ શકે છે. પેટ, કોલોરેક્ટલ, લિવર કેન્સર, અંડાશય (Ovarian) અને એન્ડોમેટ્રિયલ કેન્સરના કેસોમાં પણ વધારો જોવા મળ્યો હતો.
...તો શું લગ્ન કરવા જરૂરી છે?
સામાજિક માળખાથી અલગ ચાલીને સંપૂર્ણ સ્વતંત્ર રહેવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આ અભ્યાસનું પરિણામ ચિંતાજનક હોઈ શકે છે. પરંતુ શું કેન્સરથી બચવા માટે લગ્ન કરવા અનિવાર્ય છે? આ સવાલનો જવાબ આપતા યુનિવર્સિટી ઓફ મિયામીએ કહ્યું કે, આ અભ્યાસનો અર્થ એવો બિલકુલ નથી કે લગ્ન કરવાથી કેન્સરથી બચી શકાય છે અથવા લોકોએ લગ્ન કરવા જ જોઈએ.
ડૉ. ફ્રેન્ક પેનેડોએ જણાવ્યું હતું કે, "આ સંશોધનનો અર્થ એ છે કે જો તમે પરિણીત નથી, તો તમારે કેન્સરના જોખમી પરિબળો પ્રત્યે જાગૃત રહેવાની, નિયમિત સ્ક્રીનિંગ કરાવવાની અને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે અપ-ટુ-ડેડ રહેવાની વધુ જરૂર છે."
આ અભ્યાસને કેટલો ગંભીરતાથી લેવો જોઈએ?
દિલ્હી સ્થિત એક્શન કેન્સર હોસ્પિટલના ડૉ. સમિત પુરોહિતે આ અભ્યાસને મહત્વપૂર્ણ ગણાવ્યો છે, પરંતુ તેને અંતિમ નિર્ણય માનવાનો ઈનકાર કર્યો છે. આ એક 'ઓબ્ઝર્વેશનલ સ્ટડી' છે, જે લગ્ન અને કેન્સર વચ્ચેનો સંબંધ દર્શાવે છે, તે સીધું કારણ કે અસર સાબિત કરતી નથી. જૈવિક (Biological) રીતે લગ્ન કેન્સરથી બચાવતા નથી, પરંતુ તે વર્તણૂક, સામાજિક અને આર્થિક પરિબળોનો સૂચક છે.
આ અભ્યાસની કેટલીક મર્યાદાઓ પણ છે, જેમ કે તેમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા લોકો કે દર્દીઓની જૂની લાઈફસ્ટાઈલનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જોકે, એ પણ સત્ય છે કે સ્વસ્થ લોકોમાં લગ્ન કરવાની શક્યતા વધુ હોય છે.
પરિણીત લોકોમાં કેન્સરનું જોખમ ઓછું હોવાના સંભવિત કારણો:
વ્યસન મુક્તિ: પરિણીત લોકોમાં વધુ પડતું ધૂમ્રપાન, દારૂની લત અને ખરાબ ડાયટની શક્યતા ઓછી હોય છે.
પાર્ટનરનો સાથ: જીવનસાથી ઘણીવાર નિયમિત હેલ્થ ચેક-અપ અને સ્ક્રીનિંગ માટે પ્રોત્સાહિત કરે છે.
ઈમોશનલ સપોર્ટ: જીવનસાથી હોવાથી માનસિક ટેકો મળે છે, જેનાથી એકલતા, તણાવ અને ડિપ્રેશન ઘટે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
આર્થિક સ્થિરતા: લગ્ન પછી આર્થિક સ્થિરતાને કારણે સારો ખોરાક અને સમયસર ઈલાજ મેળવવો સરળ બને છે.
HPVનું જોખમ: સુરક્ષિત અને મર્યાદિત જાતીય સંબંધોને કારણે HPV સંક્રમણનું જોખમ ઓછું રહે છે.
કેન્સરથી બચવા માટેની પાયાની સાવચેતી:
ડૉ. પુરોહિતના મતે કેન્સરના 40% કિસ્સાઓ રોકી શકાય તેવા પરિબળો સાથે જોડાયેલા હોય છે:
તમામ પ્રકારના તમાકુથી દૂર રહેવું.
દારૂનું સેવન ઓછું કરવું.
વજન જાળવી રાખવું અને નિયમિત કસરત કરવી.
ફળ, શાકભાજી અને આખા અનાજયુક્ત સંતુલિત આહાર લેવો.
કેન્સર સ્ક્રીનિંગ કરાવતા રહેવું અને જરૂર પડે ત્યારે રસીકરણ કરાવવું.
સુરક્ષિત જાતીય સંબંધો રાખવા.
તણાવ વ્યવસ્થાપન અને સામાજિક જોડાણ મજબૂત કરવું.

