VIDEO: જૂની કારોમાં E20 ઇંધણના વપરાશથી એન્જિન બગડી જશે? મારૂતિ સુઝુકીએ કર્યો મોટો ખુલાસો!
છેલ્લા કેટલાક દિવસોથી વાહન ચાલકો અને ઓટો સેક્ટરમાં એ વાતને લઈને ચિંતા જોવા મળી રહી છે કે શું ૨૦૨૩ પહેલાં બનેલી કારોમાં E20 (૨૦% ઇથેનોલ મિશ્રિત) ઇંધણનો ઉપયોગ કરવાથી એન્જિન કે ગાડીને કોઈ નુકસાન થઈ શકે છે? આ શંકાઓ અને ચિંતાઓ વચ્ચે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયા (Maruti Suzuki India) તરફથી એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે, જે કરોડો કાર માલિકોને મોટી રાહત આપનારું છે.
મારૂતિ સુઝુકીએ વાહન ચાલકોની ચિંતા દૂર કરી
ઇથેનોલના વપરાશ અંગે સ્પષ્ટતા કરતા મારૂતિ સુઝુકી ઇન્ડિયાના કોર્પોરેટ અફેર્સના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર રાહુલ ભારતીએ જણાવ્યું હતું કે, "છેલ્લા થોડા દિવસોમાં અમને જાણવા મળ્યું છે કે કારોમાં ઇથેનોલના ઉપયોગને લઈને કેટલાક લોકોમાં શંકાઓ છે. ભારત સરકારે મટીરિયલ કમ્પ્લાયન્સ માટે 2023થી E20 ઇંધણ ફરજિયાત બનાવ્યું છે, અને તે પહેલાં E10 ઇંધણનો નિયમ હતો. 2023 પછી, કાર અને ઇંધણ બંને માટે E20 ઇંધણ ફરજિયાત કરી દેવાયું છે."
તેમણે ઉમેર્યું કે, "મુખ્ય ચિંતા એ બાબતની છે કે જો 2023 પહેલાં ઉત્પાદિત અને વેચાયેલી કારોમાં—જે મુખ્યત્વે E10 ઇંધણ માટે ડિઝાઇન કરવામાં આવી હતી—તેમાં E20 ઇંધણનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય?"
ટેસ્ટિંગમાં કોઈ સમસ્યા સામે નથી આવી
વાહન ચાલકોને આશ્વાસન આપતા રાહુલ ભારતીએ સ્પષ્ટ કર્યું કે, "અમારી પાસે પૂરતા પ્રમાણમાં સુરક્ષા પરિબળો (factors of safety) ઉપલબ્ધ છે. જે એ સુનિશ્ચિત કરે છે કે જો ૨૦૨૩ પહેલાં ભારતમાં બનેલી અને વેચાયેલી કારોમાં E20 ઇંધણનો ઉપયોગ કરવામાં આવે, તો પણ ગાડીમાં કોઈ પણ પ્રકારનો ઘસારો (wear and tear), કાટ લાગવો (corrosion) કે કારની લાઇફ અથવા E20 ઇંધણના સંપર્કમાં આવતા પાર્ટ્સને કોઈ નુકસાન થવાનો ભય રહેતો નથી."
એક જવાબદાર ઉત્પાદક તરીકે કંપનીની ભૂમિકા અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, "એક મેન્યુફેક્ચરર તરીકે, અમે ૨૦૨૩ પહેલાં પ્રચલિત એવી E10 કારોનું E20 ઇંધણ પર તમામ પેરામીટર્સ (માપદંડો) સાથે સખત ટેસ્ટિંગ કર્યું છે, અને અમને ચિંતાજનક કહી શકાય તેવું કંઈ જ જોવા મળ્યું નથી."
શું છે E10 અને E20 ઇંધણ?
E10 ઇંધણ: આમાં 90 ટકા પેટ્રોલ અને 10 ટકા ઇથેનોલનું મિશ્રણ હોય છે. વર્ષ 2023 પહેલાં ભારતમાં આ ઇંધણનો વ્યાપક ઉપયોગ થતો હતો.
E20 ઇંધણ: આમાં 80 ટકા પેટ્રોલ અને 20 ટકા ઇથેનોલનું મિશ્રણ હોય છે. પ્રદૂષણ ઘટાડવા અને ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભરતા ઓછી કરવા માટે ભારત સરકાર આ ઇંધણના વપરાશને ઝડપથી પ્રોત્સાહન આપી રહી છે.
મારૂતિ સુઝુકીના આ સત્તાવાર નિવેદન બાદ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે જૂની કાર ધરાવતા ગ્રાહકોએ ઇથેનોલ મિશ્રિત ઇંધણના કારણે એન્જિન બગડવાની ચિંતા કરવાની જરૂર નથી

