VIDEO : યાત્રાધામ અંબાજીમાં વર્ષો જૂની ટ્રાફિક અને રસ્તાની સમસ્યાનો અંત, વહીવટી તંત્રનું મોટું મેગા ડિમોલિશન
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વર્ષો જૂની રસ્તા અને ટ્રાફિકની ગંભીર સમસ્યાનો આખરે અંત આવ્યો છે. માન સરોવરથી અંબાજી મંદિરના સાત નંબરના ગેટ સુધી અવારનવાર સર્જાતા ટ્રાફિક જામને નિવારવા માટે આજે વહીવટી તંત્ર દ્વારા કડક હાથે મેગા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વર્ષો પહેલાં ટીપી સ્કીમ અંતર્ગત જે પ્લોટ રસ્તા માટે ફાળવવામાં આવ્યો હતો, તેના પર થયેલા ગેરકાયદેસર દબાણોને જેસીબી મશીનો વડે તોડી પાડવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન પ્લોટ પર બનેલી અંદાજે ચારથી પાંચ દુકાનોને દૂર કરીને રસ્તો સંપૂર્ણ ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ મોટો નિર્ણય લેતી વખતે અંબાજી સત્તામંડળના સીઈઓ (CEO), દાંતા ડિવિઝનના ડીવાયએસપી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ મંદિર અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે હાજર રહ્યો હતો. તંત્રની આ કડક કાર્યવાહીથી સ્થાનિકો અને લાખો શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી છવાઈ છે.

