VIDEO: IND vs ENG / શું આજે થશે વૈભવ સૂર્યવંશીનું ડેબ્યુ? જોખમમાં છે આ બે ખેલાડીના સ્થાન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ આજે (4 જુલાઈ) માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાશે. દાવ પર માત્ર સિરીઝમાં લીડ મેળવવાની નથી, પરંતુ ટીમ ઈન્ડિયાની અંદર વધતી હરીફાઈ પણ હશે. મેદાન પર મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે, પરંતુ ડ્રેસિંગ રૂમમાં સૌથી વધુ ચર્ચા 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની છે. તેણે હજી સુધી ભારત માટે એક પણ મેચ નથી રમી, પરંતુ તેની હાજરીએ ટીમના કેટલાક બેટ્સમેનો પર દબાણ અનેકગણું વધારી દીધું છે. ટીમ મેનેજમેન્ટ સતત કહી રહ્યું છે કે, વૈભવને ઉતાવળમાં રમાડવામાં નહીં આવે. પરંતુ ક્રિકેટમાં રાહ એટલી જ લાંબી હોય છે, જેટલી સિનિયર ખેલાડીઓ પોતાના પ્રદર્શનથી તેને લાંબી રાખે. આ જ કારણ છે કે, માન્ચેસ્ટર T20 માં સૌથી વધુ દબાણ બે બેટ્સમેનો સંજુ સેમસન અને તિલક વર્મા પર હશે.
સંજુ માટે હવે દરેક ઈનિંગ 'ઓડિશન' જેવી
સંજુ સેમસન માટે આ માત્ર એક સામાન્ય T20 મેચ નથી. પ્રથમ મુકાબલામાં તે 7 બોલમાં માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. આ પહેલાં પણ તેનું કરિયર એક મોટી ઈનિંગ અને ઘણી નિષ્ફળતાઓ વચ્ચે ઝૂલતું રહ્યું છે. T20 વર્લ્ડ કપમાં સતત મેચ જીતાડનારી ઈનિંગ્સે તેને મજબૂત સ્થિતિમાં ચોક્કસ પહોંચાડ્યો હતો, પરંતુ ભારતીય ક્રિકેટમાં નવી પ્રતિભા આવ્યા પછી, જૂની સિદ્ધિઓ લાંબા સમય સુધી સુરક્ષા કવચ નથી બનતી. ઈંગ્લેન્ડની સીમ અને સ્વિંગવાળી પરિસ્થિતિઓ હંમેશાથી સંજુની પરીક્ષા લેતી રહી છે. જો માન્ચેસ્ટરમાં પણ તેનું બેટ ન ચાલ્યું તો, સવાલ માત્ર તેના ફોર્મનો નહીં રહે, પરંતુ તેની જગ્યાનો પણ રહેશે.
તિલક વર્મા પણ સુરક્ષિત નથી
તિલક વર્માનો મામલો થોડો અલગ છે. તે સતત ટીમનો હિસ્સો છે, પરંતુ તેની પાસેથી જે પ્રકારની આક્રમક બેટિંગની અપેક્ષા રાખવામાં આવે છે, તે અત્યાર સુધી નથી જોવા મળી. મિડલ ઓવર્સમાં સ્પિનર્સ સામે તેનો સ્ટ્રાઈક રેટ ચિંતાનો વિષય રહ્યો છે. 2026માં રમાયેલી 12 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેના બેટમાંથી માત્ર 12 સિક્સ નીકળી છે. એટલે કે, સરેરાશ એક મેચમાં એક સિક્સ. T20 ક્રિકેટમાં જ્યાં મેચ થોડી ઓવર્સમાં પલટાઈ જાય છે, ત્યાં આવા આંકડા પસંદગીકારોની નજરથી બચી શકતા નથી.
વૈભવ કેમ બન્યો સૌથી મોટો ખતરો?
કારણ કે, વૈભવ માત્ર એક યુવા ખેલાડી નથી, પરંતુ ભારતીય ક્રિકેટનો આગામી મોટો પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. 15 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય ટીમ સુધી પહોંચવું જ દર્શાવે છે કે, પસંદગીકારો તેને કેટલી ગંભીરતાથી જોઈ રહ્યા છે. તેણે ડોમેસ્ટીક ક્રિકેટ અને IPLમાં જે નિડર અંદાજમાં બેટિંગ કરી, તેણે સ્પષ્ટ કરી દીધું કે, તે માત્ર ભવિષ્યનું રોકાણ નથી, પરંતુ જરૂર પડ્યે વર્તમાનનો વિકલ્પ પણ છે. આ જ કારણ છે કે, દરેક મેચ પછી સોશિયલ મીડિયાથી લઈને ક્રિકેટ નિષ્ણાતો સુધી એક જ સવાલ ગુંજી રહ્યો છે, 'વૈભવને તક ક્યારે મળશે?'.
અભિષેકે વધારી હરીફાઈ
અભિષેક શર્માએ સતત આક્રમક બેટિંગ કરીને પોતાની જગ્યા લગભગ પાકી કરી લીધી છે. છેલ્લી ત્રણ T20 મેચોમાં તેણે 49 અને 59 રનની ઈનિંગ્સ રમી છે. આવા સમયમાં જો ટોપ ઓર્ડરમાં ફેરફાર થાય છે, તો સૌથી પહેલા નજર એવા ખેલાડીઓ પર જશે, જે સતત અપેક્ષાઓ પર ખરા નથી ઉતરી રહ્યા.
બોલિંગમાં ફેરફાર મુશ્કેલ
ભારતીય બોલિંગમાં ફેરફારની શક્યતા ઓછી છે. ઓલ્ડ ટ્રેફર્ડની પિચ સ્પિનર્સને પણ મદદ કરે છે, એટલા માટે રવિ બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તી મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. બીજી તરફ ઈંગ્લેન્ડ પાસે હેરી બ્રૂક, જોસ બટલર, ફિલ સોલ્ટ અને ટોમ બેન્ટન જેવા વિસ્ફોટક બેટ્સમેન છે, જે કોઈપણ બોલિંગ આક્રમણની પરીક્ષા લઈ શકે છે.
શું માન્ચેસ્ટરમાં બદલાશે ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય?
બની શકે કે, વૈભવ સૂર્યવંશી આ મેચમાં પણ પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો ન હોય. પરંતુ એ પણ સાચું છે કે, તેની હાજરીએ ટીમ ઈન્ડિયામાં હરીફાઈનું સ્તર બદલી નાખ્યું છે. માન્ચેસ્ટરમાં જો સંજુ સેમસન અને તિલક વર્મા મોટી ઈનિંગ્સ રમે છે, તો વૈભવની રાહ થોડી વધુ લાંબી થઈ શકે છે. પરંતુ જો બંને ફરી નિષ્ફળ રહ્યા, તો પસંદગીકારો માટે આગામી નિર્ણય લેવો સરળ બની જશે.

