VIDEO: IND vs ENG / સંજૂ સેમસન સતત ફ્લોપ જતા વૈભવને ટીમમાં સામેલ કરવા અંગે દિનેશ કાર્તિકનું મોટું નિવેદન
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં સંજૂ સેમસન ફરી સસ્તામાં આઉટ થતાં તેના નબળા ફોર્મ પર સવાલો ઊભા થયા છે. તે સતત ત્રણ ઈનિંગ્સમાં નિષ્ફળ રહ્યો હોવાથી, હવે 15 વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાની માંગ તેજ બની છે. જોકે, પૂર્વ ક્રિકેટર દિનેશ કાર્તિકનું માનવું છે કે, ટીમ ઈન્ડિયાએ ઉતાવળ ન કરવી જોઈએ.
સેમસનને સપોર્ટ કરવો જરૂરી
દિનેશ કાર્તિકે 'ક્રિકબઝ' પર જણાવ્યું કે, "સંજૂ સેમસન સતત ત્રણ મેચમાં નિષ્ફળ ગયો હોવાથી વૈભવ સૂર્યવંશીને રમાડવાની માંગ યોગ્ય છે. પરંતુ ટીમ મેનેજમેન્ટે ધીરજ રાખવી જોઈએ. થોડા મહિના પહેલા T20 વર્લ્ડ કપમાં તેણે સારું પ્રદર્શન કર્યું હતું, તેથી અનુભવી ખેલાડીને અત્યારે બેક કરવો જરૂરી છે."
કાર્તિકે વૈભવના ભરપૂર વખાણ કર્યા
વૈભવના ટેલેન્ટના વખાણ કરતા કાર્તિકે ઉમેર્યું કે, "વૈભવ ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે અને ભવિષ્યમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સારું રમશે. પરંતુ માત્ર ટેલેન્ટના દમ પર ટીમમાં જગ્યા ન મળે, તેણે પોતાના પ્રદર્શનથી આ સ્થાન મેળવવું પડશે."
ભારતનો ટોસનો નિર્ણય યોગ્ય
મેચમાં વાદળછાયું વાતાવરણ હોવા છતાં ભારતે પહેલા બેટિંગ પસંદ કરી હતી. કાર્તિકે આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. તેના મતે, તાજેતરમાં આયર્લેન્ડ સામે મળેલી 0-2ની હારના કારણે ટીમે આ રણનીતિ અપનાવી હતી. હવે 4 જુલાઈએ રમાનારી બીજી T20માં સેમસનને ફરી તક મળે છે કે વૈભવને, તેના પર સૌની નજર રહેશે.

