VIDEO: અભિનેત્રી તૃષા પર દ્વિઅર્થી ટિપ્પણી કરવા બદલ ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત, DMK પર ટીવીકે-ભાજપ લાલઘૂમ
કાવેરી જળ વિવાદ મામલે તમિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજય સામે નિવેદન આપતી વેળાએ કથિત વિવાદાસ્પદ અને અભદ્ર ટિપ્પણી કરવા બદલ તમિલનાડુ પોલીસે વિરોધ પક્ષના નેતા અને ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત કરી છે. આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ઉદયનિધિ સ્ટાલિન કાવેરી મુદ્દે એક સભાને સંબોધિત કરી રહ્યા હતા અને તમિલનાડુ સરકારની નિષ્ફળતા પર પ્રહારો કરી રહ્યા હતા. તે દરમિયાન ભીડમાંથી કોઈક વ્યક્તિએ "તૃષા, તૃષા" તેવી બૂમો પાડી હતી. આ વાત પર થોડી ક્ષણો માટે અટકીને ઉદયનિધિએ એક ડબલ મીનિંગ એટલે કે દ્વિઅર્થી ટિપ્પણી કરી હતી. જેને અભિનેત્રી તૃષા સાથે જોડીને જોવામાં આવી રહી છે અને આ નિવેદને રાજકીય જગતમાં ભારે હલચલ મચાવી દીધી છે.
તમિલનાડુમાં ડીએમકે કાર્યકરોનો રોષ ચરમસીમાએ
આ વિવાદાસ્પદ નિવેદન સામે આવતા જ તમિલનાડુમાં ભારે રાજકીય રોષ ફાટી નીકળ્યો હતો. શાસક પક્ષ ટીવીકે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉદયનિધિ સ્ટાલિનની આકરી ટીકા કરવામાં આવી હતી. ટીવીકે નેતા આદવ અર્જુનાએ ઉદયનિધિની ભાષાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા તેમને એબ્યુસિંગ નિધિ કહ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેઓ મહિલાઓ પ્રત્યે વિકૃત માનસિકતા ધરાવે છે. તેમજ ટીવીકે પ્રવક્તા ફેલિક્સ ગેરાલ્ડે પણ સવાલ ઉઠાવ્યો હતો કે શું નેતા આવા અપશબ્દો પોતાના પુત્ર કે પુત્રીની સામે બોલી શકે છે? આ ઉપરાંત, ભાજપના પ્રવક્તા નારાયણન તિરુપથીએ આ ટિપ્પણીને ઘૃણાસ્પદ ગણાવીને ઉદયનિધિની તુરંત ધરપકડની માંગ કરી હતી, જ્યારે ભાજપના અન્ય નેતાઓએ પણ તેઓ માફી માંગે તેવી માંગણી દોહરાવી હતી.
સ્ટાલિને પોતાના નિવેદનનો બચાવ કર્યો
બીજી તરફ, આ સમગ્ર મામલે પોલીસે કેસ નોંધીને તેમની અટકાયત કરી છે. અટકાયત દરમિયાન મીડિયા સાથે વાત કરતા ઉદયનિધિ સ્ટાલિને પોતાના નિવેદનનો બચાવ કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેમણે કશું જ ખોટું કહ્યું નથી અને વિજય સિવાય કોઈનું નામ લીધું નથી. તેમણે આ પોલીસ કાર્યવાહીને બદલાની ભાવનાવાળી ગણાવી હતી. કાયદાકીય મુશ્કેલીઓ વધતા ઉદયનિધિએ આ મામલે રાહત મેળવવા માટે મદ્રાસ હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે અને આગોતરા જામીન માટે અરજી દાખલ કરી છે.
ભાજપ આક્રમક, ડીએમકેએ કહ્યું- વિરોધ રાજકીય
આ મામલે શાસક પક્ષ ભલે આક્રમક મુદ્રામાં હોય, પરંતુ ડીએમકે પક્ષ પોતાના નેતાના સમર્થનમાં મેદાને આવ્યો છે. ડીએમકેના પૂર્વ મંત્રી ટી મનો થંગારાજે આ વિવાદને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે કાવેરી જળ વિવાદ અને ડેલ્ટાના ખેડૂતોની વાસ્તવિક સમસ્યાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ એક બનાવટી વિવાદ ઊભો કરવામાં આવ્યો છે, જેથી વિપક્ષી નેતાને સવાલો પૂછતા અટકાવી શકાય.

