લખનૌમાં તક્ષશિલા જેવો અગ્નિકાંડ; કોચિંગ સેન્ટરમાં વિકરાળ આગ લાગતા 12થી વધુના મોત, જીવ બચાવવા લોકોએ છત પરથી છલાંગ લગાવી

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં પુરનિયા ચોરાહા પાસે આવેલી એક ઇમારતમાં સોમવારે ભીષણ આગ લાગવાની ભયાનક ઘટના બની છે. આ દુર્ઘટનામાં 20થી 24 વર્ષની વયના 12 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. ઘટનાની ગંભીરતાને જોતાં ફાયર બ્રિગેડની 14 ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ ત્યાં ઓપરેશન ચાલી રહ્યું છે.
કોચિંગ સેન્ટર નહીં પરંતુ ગેમિંગ ઝોન હતું
શરૂઆતની માહિતીમાં આ અકસ્માત કોચિંગ સેન્ટર અથવા લાઇબ્રેરીમાં થયો હોવાનું કહેવાતું હતું, પરંતુ બાદમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, ઇમારતમાં આવું કંઈ નહોતું. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પેટ શોપ આવેલી છે, જ્યારે ઉપરના માળે એક ગેમિંગ ઝોન કાર્યરત હતો. આ ગેમિંગ ઝોનમાં કર્મચારીઓ સોફ્ટવેર પર કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી.
જીવ બચાવવા લોકોએ છત પરથી છલાંગ લગાવી
આગ લાગતાં જ બિલ્ડિંગમાં ધુમાડાના ગોટેગોટા આખા વિસ્તારમાં ફેલાઈ ગયા હતા, જેના કારણે ત્યાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઇમારતમાંથી બહાર નીકળવા માટે લોકો છજ્જા અને અન્ય હિસ્સાઓનો સહારો લેતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ પોતાનો જીવ બચાવવા માટે ઉપરથી છલાંગ લગાવી દીધી હતી, જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ એક્શનમાં
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની કડક નોંધ લઈને ડીજીપી અને ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓને સ્થળની મુલાકાત લઈને વિગતવાર રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો છે. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક, ડીએમ વિશાખ અને એડીસીપી નોર્થ ટ્વિંકલ જૈન સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યોની સીધી દેખરેખ રાખી હતી. મુખ્યમંત્રીએ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે. હાલ સમગ્ર વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને તપાસ ચાલુ છે.

