મથુરામાં અડધી સદીથી બંધ વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરના ખજાનાનો રૂમ ખોલાયો

મથુરાના વિશ્વ પ્રસિધ્ધ બાંકેબિહારીના મંદિરમાં 54 વર્ષ બાદ ખજાનાનો રુમ ધનતેરસના દિવસે ખોલવામાં આવ્યો. મંદિર પરિસરમાં ભારે પોલિસ દળ તૈનાત કરવામાં આવ્યું છે અને સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શ્રધ્ધાળુઓ અને સ્થાનિક લોકોમાં ઉસ્સુકતા અને ઉત્સાહનો માહોલ છે, કેમ કે આ રૂમ અડધી સદી સુધી બંધ હતો. તેને મંદિરનો ખજાનો માનવામાં આવે છે.
અગાઉ સુરક્ષા ન હોવાથી બંધ રખાયા હતા દરવાજા
મંદિરમા ઉપસ્થિત સેવારત આભાસ ગોસ્વામી એ જણાવ્યું કે મંદિરના ગર્ભગૃહની બરાબર સ્થિત આ રુમને દાયકાઓ સુરક્ષાના કારણે બંધ કરાયો હતો. અગાઉ સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા થઇ ન હતી, એટલે ઠાકોરજીનો દૈનિક ઉપયોગી સામાન વાસણો, કળશ, સ્નાન સામગ્રી વગેરે આ રૂમમા સુરક્ષીત રાખવામાં આવતો હતો. આ ઉપરાંત ચાંદી અને સોનાના નાના આભુષણો સ્ટેટ બેંક મથુરામાં જમા રાખ્યા હતાં.
રૂમમાં પાણીના ખાબોચિયા દેખાયા
આજે આ રુમને ખોલવામાં આવ્યો હતો અને કેટલાક લોકો સાથે અંદર ગયા હતાં. આ રુમમાં પાણીના ખાબોચિયા ભરેલા જોવા મળ્યા હતાં. કિચડ દેખાયો હતો તેમજ ઉંદર પણ દેખાયા હતાં. ગોસ્વામી આભાસે જણાવ્યું હતું કે, આ રૂમમાંથી જે વસ્તુઓ નિકળશે તે ઠાકોરજીની પૂજા અને સેવામા ઉપયોગમા લીધેલી પ્રાચીન વસ્તુઓ હશે. જેમ કે તાંબા અને ચાંદીના વાસણો, કળશ, સ્નાન સામગ્રી કે જૂના આભૂષણો હશે.
વસ્તુઓ શ્રધ્ધાળુઓ અને મીડિયા સમક્ષ કરાશે રજૂ
ખજાનાના રૂમની સફાઇ પૂર્ણ થયા બાદ તેમાથી નીકળેલી વસ્તુઓ શ્રધ્ધાળુઓ અને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે. મંદિર વહીવટદારોએ જણાવ્યું હતું કે રૂમની કોઇપણ વસ્તુને વ્યવસ્થીત કરતા પહેલા સુરક્ષા અને ધાર્મિક નિયમોનું પાલન કરવામાં આવશે. મથુરામા આ ઐતિહાસીક અવસર શ્રધ્ધાળુઓ માટે જ નહી પરંતુ ઇતિહાસ અને સંસ્કૃતિમાં રૂચી રાખનાર લોકો માટે મહત્વપૂર્ણ છે. લગભગ અડધી સદી બાદ આ ખજાનો ખુલવાની પ્રક્રિયાથી સમગ્ર શહેરમાં ઉત્સુકતા અને કુતુહલતા વધી રહી છે.

