રેપ કેસ દબાવવા ₹5 કરોડની લાંચ? ભગવંત માનની પત્નીને NHRCની નોટિસ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પત્ની વિરુદ્ધ ગંભીર આરોપોને લઈને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)એ કાર્યવાહી શરૂ કરી છે. આરોપ છે કે એક રેપ કેસ (Rape Case)ને દબાવવા અથવા રફાદફા કરવા માટે ₹5 કરોડની લાંચ (Bribe) આપ-લે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, આ આરોપોની હજુ સત્તાવાર તપાસ ચાલી રહી છે.
NHRCએ મુખ્ય સચિવ અને DGPને નોટિસ આપી
NHRCએ સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા પંજાબના મુખ્ય સચિવ (Chief Secretary) અને પોલીસ મહાનિર્દેશક (DGP)ને નોટિસ ફટકારી છે. આયોગે અધિકારીઓને મામલાની તપાસ કરીને 15 દિવસની અંદર Action Taken Report (ATR) રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
આ મામલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ રણજીત સિંહે NHRCમાં ફરિયાદ (Complaint) દાખલ કરી હતી. ફરિયાદમાં મુખ્યમંત્રી ભગવંત માનની પત્ની પર ₹5 કરોડની લાંચના બદલામાં રેપના કેસને દબાવવાનો અથવા મામલો રફાદફા કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયને પણ જાણ કરવામાં આવી
આરોપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NHRCએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના (Ministry of Home Affairs) મહિલા સુરક્ષા વિભાગને પણ સમગ્ર મામલાની જાણ કરી છે.
NHRC સભ્ય પ્રિયંક કાનૂંગોએ કહ્યું કે રાજ્યના ટોચના પદ સાથે જોડાયેલી વ્યક્તિ વિરુદ્ધ મહિલાઓ અને બાળકોની સુરક્ષા જેવા સંવેદનશીલ મામલે આવા આરોપો સામે આવવા ચિંતાજનક છે. તેમણે કહ્યું કે અધિકારીઓ પાસેથી રિપોર્ટ મળ્યા બાદ જ આયોગ આગળની કાર્યવાહી (Further Action) અંગે નિર્ણય કરશે.
રાજકીય દબાણ સામે અધિકારીઓને ચેતવણી
કાનૂંગોએ અધિકારીઓને બંધારણીય સત્તાનો ઉપયોગ માત્ર જનકલ્યાણ માટે કરવાની સૂચના આપી છે. જો કોઈ અધિકારી રાજકીય દબાણ (Political Pressure) હેઠળ કામ કરશે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
હાલ NHRC દ્વારા પંજાબ પોલીસ અને વહીવટીતંત્ર પાસેથી વિગતવાર રિપોર્ટ (Detailed Report) માંગવામાં આવ્યો છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આરોપોમાં કેટલું તથ્ય છે તે સ્પષ્ટ થશે. તેથી હાલ આ મામલે લાગેલા આરોપોને આરોપ તરીકે જ જોવામાં આવી રહ્યા છે, સાબિત થયેલા તથ્ય તરીકે નહીં.

