VIDEO: 'રાહુલ ગાંધી.. ચર્ચાથી ભાગતા નહીં, અમે દરેક વાતની સદનમાં ચર્ચા કરવા તૈયાર છીએ'; જેપી નડ્ડાએ વિપક્ષને ફેંક્યો પડકાર
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષના વિરોધ અને હંગામા વચ્ચે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને વિપક્ષી પક્ષો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી સંસદમાં અને દેશની સામે દરરોજ પોતાના મુદ્દા અને નરેટિવ બદલી રહ્યા છે, જેથી સદનની કામગીરી ખોરવાઈ જાય.
"સંસદ ચલાવવામાં રાહુલ ગાંધીને રસ નથી"
કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, "રાહુલ ગાંધીનો હેતુ કોઈ અર્થપૂર્ણ ચર્ચા કે સંવાદ કરવાનો નથી, પરંતુ માત્ર અરાજકતા અને અફવાઓ ફેલાવવાનો છે. સત્રની શરૂઆતમાં તેમણે NEET પરીક્ષા અંગે વિસ્તૃત ચર્ચાની માંગ કરી હતી. જ્યારે સરકાર NEET પર ચર્ચા કરવા તૈયાર થઈ, ત્યારે તેમણે અચાનક રામ મંદિર ટ્રસ્ટનો મુદ્દો આગળ ધરી દીધો. ત્યારબાદ તેમણે જંતર-મંતર ઘટના અંગે ગૃહમંત્રીના નિવેદનની માંગ શરૂ કરી દીધી."
તેમણે ઉમેર્યું કે, "તેમનો મુખ્ય આશય સદનને ચાલવા ન દેવાનો છે. છેલ્લા 15 દિવસથી તેઓ કામગીરી ખોરવી રહ્યા છે અને સાથે સાથે જંતર-મંતરના વિષય પર ચર્ચાનો આગ્રહ રાખી રહ્યા છે. આજે જ્યારે સરકારે જંતર-મંતર ઘટના પર ચર્ચા કરવાની મંજૂરી આપી, ત્યારે તેઓ ફરીથી જંતર-મંતર પર ગોળીબાર થયો હોવાની ભ્રામક વાતો ફેલાવીને દેશ અને જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે, જ્યારે વાસ્તવમાં એવી કોઈ જ ઘટના બની નથી."
"સરકાર દરેક પ્રશ્નનો જવાબ આપવા તૈયાર"
વિપક્ષના આરોપોનો જવાબ આપતાં જેપી નડ્ડાએ સ્પષ્ટ કર્યું કે, "ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષના દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અમારું વલણ હંમેશાં સરળ અને સ્પષ્ટ રહ્યું છે કે સદનને શાંતિપૂર્ણ રીતે ચાલવા દેવામાં આવે. જો ગૃહ ચાલશે, તો અમે દરેક વિષય પર વિગતવાર જવાબ આપીશું, જેમ કે અમે ભૂતકાળમાં હંમેશાં આપતા આવ્યા છીએ. અમારો ટ્રેક રેકોર્ડ આ વાતનો પુરાવો આપે છે."
જેપી નડ્ડાએ વિપક્ષને અપીલ કરી છે કે તેઓ સદનની કામગીરીમાં અવરોધ ઊભો કરવાના બદલે નિયમોનુસાર ચર્ચામાં ભાગ લે.

