VIDEO: "અમારી માગણીઓ પ્રથમ સંતોષાવી જોઈએ": સુપ્રીમ કોર્ટના આદેશ પર CJP પ્રવક્તા સૌરવ દાસનું નિવેદન
સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશો અને પ્રદર્શનકારીઓની માગણીઓ અંગે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે પાર્ટીનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે જો દેશની સર્વોચ્ચ અદાલત યુવાનોના હિતમાં કોઈ નિર્ણય લે છે તો તેઓ તેને આવકારે છે, પરંતુ પ્રદર્શનકારીઓની મૂળભૂત માગણીઓ સંતોષવી સરકાર માટે સૌથી વધુ પ્રાથમિક હોવી જોઈએ.
"FIR રદ કરવા અને ગેરંટી આપવા અંગે સરકાર વચન પાળે"
પાર્ટીની મુખ્ય માગણીઓનો પુનરોચ્ચાર કરતા સૌરવ દાસે જણાવ્યું હતું કે, વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા તમામ આંદોલનકારીઓ સામે નોંધાયેલી FIR તાત્કાલિક રદ કરવામાં આવે અને ભવિષ્યમાં તેમની સામે કોઈ બદલાલક્ષી કાર્યવાહી ન કરવામાં આવે. સરકારે મંગળવાર સુધીમાં આ અંગે લેખિત ગેરંટી આપવાની હતી અને અટકાયત કે ધરપકડ કરાયેલા તમામ લોકોને તાત્કાલિક મુક્ત કરવાની જરૂર હતી. જો સરકાર પોતાની મનસ્વી શરતો કે 'કેવિયેટ્સ' ઉમેરે તો તે સ્વીકાર્ય નથી, કારણ કે આ આંદોલનની પ્રાથમિક માંગ છે.
ફરી મોટા પાયે આંદોલનની ચેતવણી
પ્રવક્તાએ ભારપૂર્વક જણાવ્યું કે ગઈકાલે સાંજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે જો સરકાર પોતાના આપેલા વચનમાંથી પીછેહઠ કરશે, તો CJP દિલ્હીમાં ફરી એકવાર મોટા પાયે રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન કરવા મજબૂર બનશે.
સુપ્રીમ કોર્ટના આદેશ અંગે વલણ
સૌરવ દાસે સ્પષ્ટ કર્યું કે, "સુપ્રીમ કોર્ટ જે પણ આદેશ આપે કે રાહત આપે તે અમારી માગણીઓ ઉપરાંત હોવું જોઈએ. પ્રથમ અમારી તમામ માગણીઓ પૂરી થવી જોઈએ, ત્યારબાદ જ સરકારે કોર્ટના આદેશોનું પાલન કરવું જોઈએ."

