Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Husband went mad to call back his estranged wife after 10 years, killed his friend and offered human sacrifice

10 વર્ષથી અલગ રહેતી પત્નીને પાછી બોલાવવા પાગલ બન્યો પતિ, મિત્રની હત્યા કરી નરબલિ ચઢાવી

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
10 વર્ષથી અલગ રહેતી પત્નીને પાછી બોલાવવા પાગલ બન્યો પતિ, મિત્રની હત્યા કરી નરબલિ ચઢાવી
સોર્સ : gstv

ઓડિશાના બોલાંગીર જિલ્લામાં 40 વર્ષીય સંતોષ ખારસેલની હત્યા કરીને તેનું માથું ધડથી અલગ કરી દેવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પોલીસે મુખ્ય આરોપી શત્રુઘ્ન સાહુ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. આરોપ છે કે સાહુએ સંતોષને જમવાના બહાને પોતાના ઘરે બોલાવ્યો હતો અને હત્યા કર્યા બાદ મૃતદેહને તળાવમાં ફેંકી દીધો હતો, જ્યારે તેનું કાપેલું માથું પૂજા રૂમમાં છુપાવી રાખ્યું હતું.

App Store

ઓડિશાના બોલાંગીર જિલ્લાના દેવગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બગડા ગામમાં 40 વર્ષીય સંતોષ ખારસેલની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. મૃતક તુસુરા પોલીસ સ્ટેશન વિસ્તારના તેબદામુંડા ગામનો રહેવાસી હતો. પોલીસે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પત્નીને પાછી મેળવવાની આશામાં આ હત્યા કરવામાં આવી હોવાની શંકા છે.

જમવાના બહાને બોલાવ્યો, પછી માથું ધડથી અલગ કર્યું

બોલાંગીરના એસપી જી. અભિલાષના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી શત્રુઘ્ન સાહુએ 18 ઓગસ્ટે સંતોષને જમવાના બહાને પોતાના ઘરે બોલાવ્યો હતો. પોલીસને શંકા છે કે સંતોષ ઊંઘી ગયા બાદ સાહુ અને તેના કેટલાક સાથીદારોએ તેના પર હુમલો કરીને તેની હત્યા કરી હતી. ત્યારબાદ તેનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું હતું.

તપાસકર્તાઓને શંકા છે કે આ ગુનો નરબલિ અને તંત્ર-મંત્ર સાથે જોડાયેલો હોઈ શકે છે.

હત્યાના બાદ આરોપીઓ સંતોષના મૃતદેહને ગામની બહાર લઈ ગયા અને એક તળાવમાં ફેંકી દીધો હતો. જ્યારે તેનું કાપેલું માથું સાહુના ઘરના પૂજા રૂમમાં છુપાવી રાખવામાં આવ્યું હતું. ગુરુવારે સ્થાનિક લોકોએ તળાવ પાસે માથા વગરનો મૃતદેહ જોયો અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ દેવગાંવ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી.

પોલીસ પહોંચી ત્યારે આરોપી મેડિટેશન કરી રહ્યો હતો

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે સંતોષને છેલ્લે શત્રુઘ્ન સાહુ સાથે જોવામાં આવ્યો હતો. આ માહિતીના આધારે પોલીસની ટીમ સાહુના ઘરે પહોંચી હતી. તે સમયે સાહુ કથિત રીતે ઘરની અંદર ધ્યાન (મેડિટેશન) કરી રહ્યો હતો.

શરૂઆતની પૂછપરછમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે દારૂ પીવાની બાબતે થયેલા વિવાદ બાદ સંતોષની હત્યા કરવામાં આવી હતી. જોકે, વધુ પૂછપરછ દરમિયાન તેણે કથિત રીતે જણાવ્યું કે સંતોષનું કાપેલું માથું પૂજા રૂમમાં છુપાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ આરોપી પોલીસને તે સ્થળે લઈ ગયો જ્યાં માથું  છુપાવવામાં આવ્યું હતું. પોલીસે ત્યાં ખોદકામ કરીને સંતોષનું કાપેલું માથું કબજે કર્યું હતું. હત્યામાં ઉપયોગમાં લેવાયેલું લોહીથી ખરડાયેલું ધારદાર હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે.

પોલીસે મુખ્ય આરોપી શત્રુઘ્ન સાહુ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. સાહુની માતા, ભાઈ અને ભાભીને પણ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તપાસકર્તાઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ ઘટનામાં અન્ય કોઈ લોકો પણ સામેલ હતા કે નહીં.

પત્નીને પાછી મેળવવા માટે આપી નરબલિ

પોલીસને શંકા છે કે આ હત્યા અંધશ્રદ્ધા અને કથિત તંત્ર-મંત્રને કારણે કરવામાં આવી હોઈ શકે છે. પૂછપરછ દરમિયાન સાહુએ કથિત રીતે તપાસકર્તાઓને જણાવ્યું હતું કે તે પોતાની અલગ રહેતી પત્નીને પાછી મેળવવાની આશામાં આ નરબલિ આપી હતી.

તપાસ મુજબ, સાહુની પત્ની છેલ્લા લગભગ 10 વર્ષથી પોતાના પુત્ર અને પુત્રી સાથે તેનાથી અલગ રહે છે. પોલીસને શંકા છે કે સાહુના તંત્ર-મંત્ર અથવા જાદુ-ટોણા સાથે જોડાયેલા હોવાના કારણે જ પરિવાર તેનાથી દૂર રહ્યો હોઈ શકે છે.

પોલીસ હવે તપાસ કરી રહી છે કે કથિત નરબલિની યોજના સાહુએ એકલા બનાવી હતી કે પછી અન્ય કોઈ વ્યક્તિએ પણ તેને મદદ કરી હતી.

એસપી અભિલાષે જણાવ્યું કે મુખ્ય આરોપીએ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલ કર્યો છે. પોલીસે આરોપીના ઘરમાંથી મૃતકનું કાપેલું માથું પણ કબજે કર્યું છે અને તપાસના ભાગરૂપે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે.