Amarnath Yatra 2026: આગામી 3 જુલાઈથી બાબા બર્ફાનીના દ્વાર ખુલશે, રજિસ્ટ્રેશનથી લઈને વીમા સુધીના નિયમોમાં મોટો ફેરફાર!

Amarnath Yatra 2026: જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં મળેલી બોર્ડની બેઠકમાં અમરનાથ યાત્રાને લઈને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક બાદ માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, આ વર્ષે યાત્રા 3 જુલાઈથી શરૂ થઈને 28 ઓગસ્ટ સુધી ચાલશે. કુલ 57 દિવસ સુધી ચાલનારી આ પવિત્ર યાત્રા માટે નોંધણીની પ્રક્રિયા 15 એપ્રિલથી શરૂ થશે. વહીવટીતંત્ર મુજબ આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યામાં લગભગ 25 ટકાનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે નોંધણી
યાત્રાનો લાભ લેવા શ્રદ્ધાળુઓની લઘુત્તમ વય 13 વર્ષ અને મહત્તમ વય 70 વર્ષ નક્કી કરવામાં આવી છે. યાત્રીઓની સુવિધા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે. PNB, SBI, યસ બેંક અને જમ્મુ-કાશ્મીર બેંકની દેશભરમાં આવેલી 554 શાખાઓ પર ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાશે. આ ઉપરાંત, ઓનલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા શ્રાઈન બોર્ડની સત્તાવાર વેબસાઈટ અને મોબાઈલ એપ પર ઉપલબ્ધ રહેશે.
સુવિધાઓ વધારવામાં આવી
યાત્રાને વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે આ વખતે RFID કાર્ડ જેવી નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓ માટે સામૂહિક અકસ્માત વીમો 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. સાથે જ, ઘોડા માલિકોને મોટી રાહત આપતા, ઘોડાના મૃત્યુના કિસ્સામાં 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જોગવાઈ કરવામાં આવી છે. યાત્રાના રસ્તાઓને સુગમ બનાવવા માટે બંને મુખ્ય રસ્તાઓનું પહોળીકરણ કરવામાં આવ્યું છે.
200 બેડની હોસ્પિટલ તૈયાર
બાલટાલમાં નવું 'યાત્રી નિવાસ' કાર્યરત કરી દેવામાં આવ્યું છે, જ્યારે શ્રીનગરમાં પણ એક યાત્રી નિવાસ કાર્યરત છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેના અને અન્ય અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે. હવામાનની ચોક્કસ માહિતી માટે ડોપ્લર રડાર પણ લગાવવામાં આવ્યું છે. સાથે જ, શ્રદ્ધાળુઓની આરોગ્ય સેવાઓને ધ્યાનમાં રાખીને 200 બેડની હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી છે. વહીવટીતંત્રનું કહેવું છે કે આ વર્ષની અમરનાથ યાત્રાને સુરક્ષિત, સરળ અને સુવિધાજનક બનાવવા માટે વ્યાપક સ્તરે તૈયારીઓ કરવામાં આવી છે.

