Ahmedabad news: વસ્ત્રાલમાં ઓઈલ લીકેજ બાદ ફાયર બ્રિગેડ અને ONGCએ સંભાળ્યો મોરચો, રસ્તો સીલ

Ahmedabad news: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં રવિવારની સાંજે એક ભયાનક દ્રશ્ય જોવા મળ્યું હતું. વસ્ત્રાલના હરેશ્વર આર્ક નજીકથી પસાર થતી ONGCની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં અચાનક મોટા પાયે લીકેજ શરૂ થયું હતું. રસ્તા પર ઓઇલની નદીઓ વહેવા લાગતા સ્થાનિક રહીશોમાં ગભરાટ અને ચિંતા ફેલાઈ ગઈ હતી.
તંત્રનું એક્શન મોડ
લીકેજની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ઓઇલ જ્વલનશીલ હોવાથી કોઈ પણ પ્રકારનો તણખલો મોટી આગ લગાડી શકે તેમ હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોઈને ONGCના ટેકનિકલ નિષ્ણાતોએ તાત્કાલિક મેન વાલ્વ બંધ કરી દીધો હતો, જેથી ઓઇલનો પ્રવાહ અટકી શક્યો હતો.
પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક ડાયવર્ઝન
રામોલ પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં ભરીને હરેશ્વર આર્ક તરફ જતો મુખ્ય રસ્તો બંને બાજુથી બંધ કરી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત કાફલો ખડેપગે છે. સમારકામની કામગીરી ચાલુ હોવાથી વાહનચાલકોને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
સદનસીબે મોટી જાનહાનિ ટળી
ONGCની ટીમ હાલમાં પાઇપલાઇનને ડિગિંગ કરી લીકેજનું ચોક્કસ પોઇન્ટ શોધી સમારકામ કરી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, લીકેજ પાછળનું કારણ શું છે - પાઇપલાઇનનું જૂનું થવું કે કોઈ માનવીય ભૂલ - તે અંગે તપાસ કરવામાં આવશે.

