VIDEO:"હવે બહુ થયું, બદલીને રહીશું": AAPએ મેદાને ઉતાર્યા 6000 લડવૈયા, ઈસુદાન ગઢવીએ ફૂંક્યું ચૂંટણીનું રણશિંગુ
VIDEO: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક ખાસ વીડિયો સંદેશ દ્વારા પાર્ટીની રણનીતિ સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યું કે આ વખતે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી મેદાનમાં છે અને રાજ્યભરમાંથી શોધીને 6000 જેટલા 'સામાન્ય લડવૈયાઓ'ને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.
મેગા કેમ્પેન "હવે બહુ થયું, બદલીને રહીશું"
ઈસુદાન ગઢવીએ આજે પાર્ટીનું નવું પ્રચાર અભિયાન લોન્ચ કર્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "આમ આદમી પાર્ટી માત્ર વ્યવસ્થાનું એક માધ્યમ છે, અસલ ચૂંટણી તો જનતા પોતે લડી રહી છે." આ અભિયાન હેઠળ ભ્રષ્ટાચાર અને મોંઘવારી જેવા પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં આવશે.
ષડયંત્રના આક્ષેપો અને આકરી ચેતવણી
ઈસુદાન ગઢવીએ શાસક પક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, AAPના વધતા પ્રભાવથી ડરીને અનેક ષડયંત્રો રચાઈ રહ્યા છે. ઉમેદવારો પર ખોટી FIR કરીને જેલમાં નાખવા અને હવે તેમના નોમિનેશન (ઉમેદવારી ફોર્મ) રદ કરાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની આશંકા તેમણે વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "અમે પ્રજાના પ્રશ્નો માટે નીકળ્યા છીએ, અમે કોઈની સામે ઝૂકવાના નથી."
જનતાને આહ્વાન
મતદાનના દિવસે જનતાને ભાવુક અપીલ કરતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, "જાતિ, જ્ઞાતિ અને ધર્મના ભેદભાવ ભૂલીને માત્ર ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે 'ઝાડું' પર મતદાન કરો." જ્યારે જનતા જાગૃત થાય છે, ત્યારે કોઈ પણ ષડયંત્ર ટકી શકતું નથી.

