VIDEO: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય; પૂર્વ અગ્નિવીરોને CAPF અને અસમ રાઇફલ્સમાં કોન્સ્ટેબલ ભરતીમાં મળશે 50% અનામત
અગ્નિપથ યોજના હેઠળ ચાર વર્ષની સેવા પૂરી કરનારા યુવાનો માટે કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી પૂર્વ અગ્નિવીરોને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને અસમ રાઇફલ્સમાં કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) તથા રાઇફલમેનની ભરતીમાં વિશેષ લાભ આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ અંગેની માહિતી આપી હતી.
પૂર્વ અગ્નિવીરો માટે અલગ કેટેગરી અને 50% અનામત
સરકારે CAPF અને અસમ રાઇફલ્સની કોન્સ્ટેબલ (GD) અને રાઇફલમેન ભરતીમાં પૂર્વ અગ્નિવીરો માટે એક અલગ કેટેગરી બનાવી છે. આ નવી કેટેગરી હેઠળ ઉપલબ્ધ કુલ ખાલી જગ્યાઓમાંથી 50% પદો પૂર્વ અગ્નિવીરો માટે અનામત રાખવામાં આવશે. સરકારના જણાવ્યા મુજબ, આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની સેવામાં યોગદાન આપનાર યુવાનોને આગળ પણ સુરક્ષા દળોમાં રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવાનો છે.
વય મર્યાદામાં 3થી 5 વર્ષ સુધીની છૂટછાટ
સરકારે ઉમેદવારોને વય મર્યાદામાં પણ મોટી રાહત આપી છે. સામાન્ય રીતે પૂર્વ અગ્નિવીરોને મહત્તમ વય મર્યાદામાં 3 વર્ષની છૂટ મળશે. પરંતુ, અગ્નિપથ યોજનાની પ્રથમ બેચના પૂર્વ અગ્નિવીરોને વિશેષ રાહત આપતા મહત્તમ વય મર્યાદામાં 5 વર્ષની વધારાની છૂટ આપવામાં આવશે, જેથી પ્રથમ બેચના યુવાનોને ભરતીનો મહત્તમ લાભ મળી શકે.
શારીરિક કસોટી અને લેખિત પરીક્ષામાંથી મુક્તિ
પૂર્વ અગ્નિવીરોને ભરતી પ્રક્રિયાના વિવિધ જટિલ તબક્કાઓમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમને શારીરિક ધોરણો (Physical Standards), શારીરિક ક્ષમતા કસોટી (PET) અને લેખિત પરીક્ષા આપવાની રહેશે નહીં. સરકારનું માનવું છે કે સેનામાં ચાર વર્ષની સેવા દરમિયાન અગ્નિવીરો આ તમામ શારીરિક અને માનસિક ધોરણોમાંથી પસાર થઈ ચૂક્યા હોય છે, જેથી તેમને ફરીથી આ પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નથી.
'એક્સ અગ્નિવીર વિંગ'ની સ્થાપના અને પ્રથમ બેચ નિવૃત્ત થશે
ગૃહ મંત્રાલયે પૂર્વ અગ્નિવીરોના ભવિષ્ય અને કારકિર્દીને ધ્યાનમાં રાખીને એક વિશેષ 'એક્સ અગ્નિવીર વિંગ'ની રચના પણ કરી છે. આ વિંગ સેનામાંથી નિવૃત્ત થતા અગ્નિવીરોને આગળના કારકિર્દી વિકલ્પો અને રોજગાર મેળવવામાં મદદ કરશે. નોંધનીય છે કે અગ્નિપથ યોજનાની પ્રથમ બેચનો ચાર વર્ષનો કાર્યકાળ આ જ વર્ષના અંત સુધીમાં પૂરો થઈ રહ્યો છે, જેના પછી મોટી સંખ્યામાં અગ્નિવીરો આ ભરતીઓ માટે પાત્ર બનશે.
25%થી વધુ અગ્નિવીરોને કાયમી કરવાનો પ્રસ્તાવ
દરમિયાન, ત્રણેય સેનાઓએ ચાર વર્ષ પછી કાયમી સેવામાં રાખવામાં આવતા અગ્નિવીરોની સંખ્યા વધારવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. યોજનાની શરૂઆતમાં મેરિટના આધારે માત્ર 25% અગ્નિવીરોને જ નિયમિત સેવામાં રાખવાનું નક્કી કરાયું હતું. પરંતુ હવે ભારતીય નેવીએ આ મર્યાદા વધારીને 75% કરવાની માંગ કરી છે, જ્યારે આર્મી અને એરફોર્સ તેને 50% સુધી વધારવાનો પ્રસ્તાવ આપ્યો છે. જોકે, આ પ્રસ્તાવ પર હજુ સુધી સરકાર તરફથી કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી.

