VIDEO: Valsadના 72 માછીમારો આખરે 40 દિવસની લાંબી દોડધામ બાદ ભારત પરત આવવા એરપોર્ટ પહોંચ્યા
ઈરાન અને આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે ફસાયેલા વલસાડ જિલ્લાના 72 જેટલા માછીમારો અને શિપિંગ કંપનીના કર્મચારીઓ માટે આખરે વિજયના સમાચાર આવ્યા છે. છેલ્લા 40 દિવસથી વિદેશી ધરતી પર મુશ્કેલીઓ વેઠી રહેલા આ ભારતીયો આજે આર્મેનિયા એરપોર્ટ પર પહોંચ્યા છે અને ટૂંક સમયમાં જ ભારતની ધરતી પર પગ મૂકશે.
મળતી વિગતો અનુસાર, વલસાડ જિલ્લાના આ લોકો ઈરાનના કિસ ટાપુ અને તેની આસપાસના વિસ્તારોમાં માછીમારી અને શિપિંગ કંપનીઓમાં કામ અર્થે ગયા હતા. જોકે, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા યુદ્ધના તણાવને કારણે આ તમામ લોકો ગંભીર ચિંતામાં મુકાયા હતા. તેમણે સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માટે મદદ માંગી હતી.
આ મુશ્કેલ સમયમાં GSTV સતત છેલ્લા 30 દિવસથી આ તમામ 72 લોકોના સંપર્કમાં રહ્યું હતું. એરપોર્ટ પરથી વીડિયો સંદેશ દ્વારા આ લોકોએ ભારત સરકાર અને GSTV નો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, લાંબી મુસાફરી અને અનેક તકલીફો બાદ આજે ભારત આવવા એરપોર્ટ પર આવી ગયા છીએ. પોતાના સ્વજનો 40 દિવસ બાદ હેમખેમ ભારત પરત ફરી રહ્યા હોવાના સમાચાર મળતા જ વલસાડમાં તેમના પરિવારોમાં ખુશીની લહેર છે.

