VIDEO: સુરેન્દ્રનગરના બળોલમાં ઉભા પાકમાં ઢોર ચરાવવા મુદ્દે લોહિયાળ જંગ, હુમલામાં 6 ખેડૂતો ઈજાગ્રસ્ત
VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના બળોલ ગામમાં ઉભા પાકમાં ઢોર ચરાવવા જેવી નજીવી બાબતે માલધારીઓ અને ખેડૂતો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ છે. આ લોહિયાળ સંઘર્ષમાં 6 જેટલા ખેડૂતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે હુમલા દરમિયાન લૂંટની પણ ઘટના બની છે.
ઘટનાની પૃષ્ઠભૂમિ
મળતી વિગત મુજબ, બળોલ ગામના ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલા ઉભા પાક પર માલધારીઓ દ્વારા વારંવાર ઢોર ચરાવી દેવામાં આવતા હતા. આ બાબતે ખેડૂતોએ અનેકવાર વિરોધ કર્યો હતો. આજે ફરીથી આ જ બાબતે બોલાચાલી થતા મામલો બિચક્યો હતો. 10થી વધુ માલધારીઓએ લાકડીઓ અને અન્ય હથિયારો વડે ખેડૂતો પર તૂટી પડ્યા હતા.
પોલીસની નિષ્ક્રિયતાના આક્ષેપ
ઈજાગ્રસ્ત ખેડૂતો અને તેમના પરિવારજનોમાં પાણસીણા પોલીસ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, આ અગાઉ પણ ઉભા પાકમાં ઢોર ચરાવી દેવા બાબતે પાણસીણા પોલીસ મથકમાં રજૂઆતો કરવામાં આવી હતી. જો પોલીસે સમયસર પગલાં ભર્યા હોત, તો આજે આ હુમલાની નોબત આવી ન હોત.
6 ખેડૂતો હોસ્પિટલમાં સારવાર હેઠળ
માલધારીઓના આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા 6 ખેડૂતોને લોહીલુહાણ હાલતમાં સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. હુમલાની સાથે સાથે ખેડૂતોએ પોતાની પાસેથી કિંમતી વસ્તુઓની લૂંટ થઈ હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે. હાલમાં ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.

