VIDEO: લક્ષ્મી પૂજાના બહાને ભરૂચના યુવક સાથે 27.48 લાખની છેતરપિંડી, પિતા-પુત્રની ધરપકડ
VIDEO: ધાર્મિક વિધિ અને અંધશ્રદ્ધાના ઓઠા હેઠળ આર્થિક તંગી દૂર કરવાની લાલચ આપી ભરૂચના એક યુવક સાથે લાખો રૂપિયાની ઠગાઈનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અંકલેશ્વર તાલુકાના પારડી ઇદ્રીશ ગામના પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોએ લક્ષ્મી પૂજાના નામે ફરિયાદી પાસેથી કટકે-કટકે રૂપિયા 27,48,500/- પડાવી લીધા હોવાની ફરિયાદ પાનોલી પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી પિતા-પુત્રની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ગણાતા 'ગુરુજી'ને વોન્ટેડ જાહેર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
શું છે સમગ્ર ઘટના?
મૂળ ભરૂચના ભોલાવ વિસ્તારમાં રહેતા વિકિતભાઈ ભોઈ છેલ્લા કેટલાક સમયથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. આ દરમિયાન, એક મિત્રના માધ્યમથી તેમનો સંપર્ક અંકલેશ્વરના પારડી ઇદ્રીશ ગામના સન્મુખ બુધા વસાવા અને તેના પુત્ર પ્રતીક વસાવા સાથે થયો હતો. આ બંનેએ બાલાસિનોરના ગુરુજી સુથાર બાપુ સાથે મળીને વિકિતભાઈને વિશ્વાસમાં લીધા હતા કે તેઓ લક્ષ્મી માતાની ખાસ પૂજા-વિધિ દ્વારા તેમની તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર કરી દેશે.
વૈભવી જીવનશૈલી બતાવી વિશ્વાસમાં લીધા
આરોપીઓએ ફરિયાદીને છેતરવા માટે એક વ્યવસ્થિત જાળ બિછાવી હતી. સન્મુખ વસાવા અને તેના પુત્રએ પોતાની પાસે વિશાળ જમીનો અને મોંઘી લક્ઝરી ગાડીઓ હોવાનું જણાવી પોતાની વૈભવી જીવનશૈલીનું પ્રદર્શન કર્યું હતું. આ જોઈને ફરિયાદીને વિશ્વાસ બેઠો હતો કે આ લોકો ખરેખર સમૃદ્ધ છે અને તેમની વિધિમાં દમ હશે. ફેબ્રુઆરી 2024થી મે 2025ના ગાળા દરમિયાન, પૂજા અને વિધિના બહાને ફરિયાદીને અનેકવાર પારડી ઇદ્રીશ બોલાવવામાં આવ્યા હતા અને તબક્કાવાર નાણાંની માંગ કરવામાં આવી હતી.
કુલ રૂપિયા 27.48 લાખની રકમ પડાવી
પોલીસ ફરિયાદ અનુસાર, આરોપીઓએ વિકિતભાઈ પાસેથી બેંક ટ્રાન્સફર મારફતે રૂપિયા 14,23,500/- તેમજ રોકડ સ્વરૂપે: રૂપિયા 13,25,000/- કુલ રકમ: રૂપિયા 27,48,500/- પડાવી લીધા હતા. વારંવાર વિધિઓ કરાવવા છતાં આર્થિક સ્થિતિ સુધરવાને બદલે વધુ બગડતા અને આરોપીઓ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા, ફરિયાદીને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.
પોલીસ કાર્યવાહી અને ધરપકડ
છેતરપિંડીનો ભોગ બનેલા વિકિતભાઈએ આખરે પાનોલી પોલીસ મથકમાં ત્રણેય શખ્સો વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી. પાનોલી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરતા પારડી ઇદ્રીશના સન્મુખ વસાવા અને તેના પુત્ર પ્રતીક વસાવાને ઝડપી લીધા છે. જોકે, આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર અને બાલાસિનોરનો કહેવાતો 'ગુરુજી' સુથાર બાપુ હાલ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે.

