સુરેન્દ્રનગર સબજેલમાં કેદીનું શંકાસ્પદ મોત: ક્ષમતા કરતાં બમણા કેદીઓના ભાર અને ગરમી વચ્ચે કસ્ટડીયલ ડેથથી ચકચાર

Surendragar news: સુરેન્દ્રનગરની સબજેલ ફરી એકવાર મોટા વિવાદના ઘેરામાં આવી છે. જેલમાં હત્યાના ગુનામાં છેલ્લા 5 વર્ષથી સજા કાપી રહેલા એક કેદીનું મોડી રાત્રે કસ્ટડીમાં જ કરુણ મોત નીપજતા જેલ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. પ્રાથમિક અનુમાન મુજબ જેલમાં અસહ્ય ગરમી અને ક્ષમતા કરતાં વધુ કેદીઓના ભારણને કારણે હાર્ટએટેક આવતા આ ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જાણો આખો મામલો
મળતી માહિતી મુજબ, સુરેન્દ્ર નગરની ખીમાં સોમાભાઈ નામનો કેદી જેલની બેરેકમાં સજા કાપી રહ્યો હતો. મોડી રાત્રે અચાનક તેમની તબિયત લથડી હતી અને જેલની અંદર જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના બાદ તાત્કાલિક ધોરણે મૃતદેહને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. (પોસ્ટમોર્ટમ) અર્થે ખસેડવામાં આવ્યો છે. મૃતક કેદી હત્યાના કેસમાં દોષિત જાહેર થયેલ હતો અને છેલ્લા પાંચ વર્ષથી આ જેલમાં બંધ હતો.
જેલની ત્યાં વાસ્તવિકતા: 125ની ક્ષમતા સામે 300 કેદીઓ
આ ઘટનાએ સુરેન્દ્રનગર સબજેલની કથળતી વ્યવસ્થાનો પર્દાફાશ કર્યો છે. જે જેલની સત્તાવાર ક્ષમતા માત્ર 125 કેદીઓ રાખવાની છે, ત્યાં હાલમાં 300 જેટલા કેદીઓને રાખવામાં આવી રહ્યા છે. આટલી ગીચતામાં કેદીઓને પૂરતી હવા કે જગ્યા મળવી અશક્ય છે. હાલમાં વધી રહેલા તાપમાન અને ગરમીના કારણે બેરેકમાં ગૂંગળામણ અનુભવાતા કેદીને હાર્ટએટેક આવ્યો હોવાનું અનુમાન છે, જોકે સત્ય હકીકત પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ
કસ્ટડીયલ ડેથની આ ગંભીર ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સબજેલની સુરક્ષા અને વ્યવસ્થા ફરી વિવાદોમાં આવતા સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શું આ માત્ર કુદરતી મોત છે કે જેલ પ્રશાસનની બેદરકારી? તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

