VIDEO: 'શું SMC કમિશનર જેલ ભેગા થશે?' નાસીરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટની સખ્તાઈ
સુરતના નાસીરનગરમાં કરવામાં આવેલા ગેરકાયદે ડિમોલિશનના હાઇપ્રોફાઇલ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી યોજાઈ હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ના વલણ સામે ભારે નારાજગી વ્યક્ત કરી આકરી ઝાટકની કરી હતી.
હાઈકોર્ટે તીખી ટિપ્પણીઓ કરતા કહ્યું કે, "રાજ્ય કોર્ટની આંખમાં ધૂળ નાખી રહ્યું છે": સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે બે સિનિયર અધિકારીઓની હાઈલેવલ કમિટી બનાવવાની વાત કરી હતી. જેની સામે કોર્ટે કહ્યું કે, "અમને કમિટીની રચના સામે વાંધો નથી, પરંતુ કમિટી શેની તપાસ કરવાની છે તેની સ્પષ્ટતા નથી. SMC કમિશનર પર સીધા આક્ષેપો છે, તો તેમની પાસે ખુલાસો કેમ ના માગવામાં આવ્યો?"
કોર્ટે સખત શબ્દોમાં કહ્યું કે, "જ્યાં સુધી પાવર ધરાવતી આક્ષેપિત વ્યક્તિ પોતાના હોદ્દા પર હોય, ત્યાં સુધી નિષ્પક્ષ તપાસ કેમ શક્ય બને? SMC કમિશનરે તેમના જ નંબરથી મેસેજ ફોરવર્ડ થયાનો સ્વીકાર કર્યો છે. એકવાર તાકાત આવી જાય એટલે આવું બધું કરવાનું? 150 પરિવારોને રોડ પર લાવી દેવાયા! શું આ દેશમાં કાયદો જ નથી? " શું રાજ્ય જાતે કાર્યવાહી કેમ નથી કરવા માંગતું, આખરે કોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે?"
સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કોર્ટને માહિતી આપી હતી કે પુનર્વસન માટે લાયકાત ધરાવતા અસરગ્રસ્તો માટે 120 ફ્લેટ ખાલી રાખવામાં આવ્યા છે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ નાનો કર્મચારી કમિશનર પર આક્ષેપ કરતી ખોટી એફિડેવિટ કરવાની હિંમત ન કરે. રાજ્ય સરકારે તલસ્પર્શી અભ્યાસના નામે કોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં.

