VIDEO: સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ
સુરતના ચકચારી નાસીરનગર ડિમોલિશન કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હાઈકોર્ટે રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા અને ટોરેન્ટ પાવરની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.સુનાવણી દરમિયાન ટોરેન્ટ પાવરે નિવેદન આપતા જણાવ્યું કે, તેઓ જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ડિમોલિશનની કામગીરી પહેલેથી જ શરૂ થઈ ચૂકી હતી. તેમને માત્ર ટેલિફોનિક સૂચના મળી હતી અને ત્યાં પહોંચતા સુધીમાં વીજ મીટરો તૂટી ચૂક્યા હતા. કંપનીએ દાવો કર્યો કે જો વીજ પુરવઠો કાપવામાં ન આવ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.બીજી તરફ, હાઈકોર્ટે એક મહિના પછી પણ સોગંદનામું રજૂ ન કરવા બદલ સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે વેધક સવાલ કરતા પૂછ્યું કે, "જો માત્ર ડિમાર્કેશનની કામગીરી હતી, તો આટલો મોટો પોલીસ કાફલો ત્યાં શા માટે ખડકવામાં આવ્યો હતો?" એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સ્વીકાર્યું કે આ ઘટના નહોતી થવી જોઈતી. કોર્ટે કમિશનરની કામગીરીથી ભારે અસંતોષ વ્યક્ત કરી આગામી ૨ જુલાઈ સુધીમાં વિગતવાર જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.

