VIDEO: સાવધાન! તમે જે પનીર ખાઓ છો તે અસલી છે કે નકલી? સુરતમાં 2 વર્ષથી ચાલતું કૌભાંડ SOGએ ઝડપ્યું
VIDEO: સુરત શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગૃપે SOGએ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ભીડભંજન સોસાયટીના એક કારખાનામાં દરોડો પાડીને એસઓજીએ અંદાજે 1,401 કિલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે.
જાણો આખો મામલો
કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રાગ પામોલીન તેલના ભરેલા અને ખાલી ડબ્બા મળી આવ્યા હતા, જેનો ઉપયોગ પનીર બનાવવામાં થતો હોવાની શંકા છે. કારખાનામાંથી નોન-બ્રાન્ડેડ લૂઝ એનાલોગ પનીરના અંદાજે 3000 જેટલા સ્ટીકરો પણ જપ્ત કરાયા છે. આ શખ્સો પનીરને પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી, તેના પર આકર્ષક સ્ટીકરો લગાવી શહેરની વિવિધ ડેરીઓમાં અને છૂટકમાં વેચાણ કરતા હતા.
રૂપિયા 28.44 લાખનો મુદ્દામાલ જપ્ત
એસઓજીએ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમને સાથે રાખીને આ દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી પનીર બનાવવા માટેના પેસચરાઇઝ મશીનરી, હોમોનાઇઝર મશીન, વેન્ચ્યુરી મશીન અને સ્ટોરેજ ફ્રીઝર સહિત કુલ રૂપિયા 25 લાખની મશીનરી અને 3.08 લાખનું પનીર મળી કુલ 28.44 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આ મામલે કારખાનાના સંચાલક મહેશ પૂનાશંકર શર્માની અટકાયત કરવામાં આવી છે.
બે વર્ષથી ચાલતું હતું નેટવર્ક
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી છેલ્લા બે વર્ષથી આ કારખાનું ચલાવતો હતો અને દરરોજ અંદાજે 400 કિલો જેટલા પનીરનું ઉત્પાદન કરીને લોકોના આરોગ્યને જોખમમાં મુકતો હતો. ફૂડ વિભાગે પનીરના સેમ્પલ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલ્યા છે. જો લેબ રિપોર્ટમાં સેમ્પલ ફેલ જણાશે, તો સંચાલક સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવશે.

