VIDEO: રાજકોટમાં ગરમાશે રાજકારણ: પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ ફૂંક્યું આંદોલનનું રણશિંગું, 'સબ કા હોગા કર્ઝા માફ'ના લાગ્યા પોસ્ટરો
VIDEO: ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો તેજ થયો છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (બાપુ)એ ફરી એકવાર જનતાના પ્રશ્નોને લઈને આક્રમક મૂડ ધારણ કર્યો છે. રાજકોટમાં દેવા માફીના મુદ્દે બાપુએ મોટા પાયે આંદોલન કરવાની જાહેરાત કરી છે, જેના પગલે રાજકોટના વિવિધ વિસ્તારોમાં હોર્ડિંગ્સ અને પોસ્ટરો છવાઈ ગયા છે.
'સબ કા હોગા કર્ઝા માફ'ના નારા સાથે મેદાનમાં
રાજકોટના મુખ્ય માર્ગો પર લાગેલા પોસ્ટરોમાં 'સબ કા હોગા કર્ઝા માફ !' ના સૂત્રો લખવામાં આવ્યા છે. ખેડૂતો અને સામાન્ય જનતા લાંબા સમયથી દેવા માફીની માંગ કરી રહ્યા છે, ત્યારે આ મુદ્દાને ધાર આપવા માટે શંકરસિંહ વાઘેલાએ 26 ફેબ્રુઆરીના રોજ રાજકોટના રેસકોર્ષ મેદાનમાં એક વિરાટ જાહેર સભાનું આયોજન કર્યું છે.
દેશભરમાંથી ઉમટશે આગેવાનો
આ આંદોલન માત્ર ગુજરાત પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાની તૈયારીઓ છે. આ સભામાં દેશભરમાંથી અલગ-અલગ ક્ષેત્રના અગ્રણીઓ અને ખેડૂત નેતાઓ હાજરી આપવાના છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો કર્જ માફી માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે બાપુની આ એન્ટ્રી શાસક પક્ષ માટે પડકારરૂપ બની શકે છે. ચૂંટણી પહેલા આ પ્રકારે પૂર્વ મુખ્યમંત્રીનું સક્રિય થવું એ ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના સંકેત આપી રહ્યું છે.

