VIDEO: Rajkot શહેર કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભડકો; વોર્ડ નં. 13માં ટિકિટ વહેંચણી મુદ્દે પૂર્વ કોર્પોરેટર નારાજ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસમાં ભડકો થયો છે. વોર્ડ નં. 13ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે પક્ષની ટિકિટ વહેંચણી અને સંકલનના અભાવ સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે. પૂર્વ કોર્પોરેટરનો આક્ષેપ છે કે પક્ષ દ્વારા સ્થાનિક નેતાઓ અને કાર્યકરોની ભલામણને અવગણીને અજાણ્યા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, જાગૃતિબેન ડાંગરે અગાઉ જ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખીને પોતે ચૂંટણી નહીં લડે તેવી સ્પષ્ટતા કરી હતી. તેમણે વોર્ડ નં. 13માં કમલેશ કોઠીવારને ટિકિટ આપવા માટે મજબૂત ભલામણ કરી હતી. જોકે, કોંગ્રેસ હાઈકમાન્ડે કમલેશ કોઠીવારને વોર્ડ 13ને બદલે વોર્ડ 12માં ટિકિટ ફાળવતા જાગૃતિબેન અને તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વોર્ડ નં. 13માં OBC સમાજમાંથી અંજનાબેન પંચાસરાને ટિકિટ આપવામાં આવી છે, જેનો જાગૃતિબેન ડાંગરે વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, "પક્ષે જે પેનલ જાહેર કરી છે તેનાથી અમે સંતુષ્ટ નથી. અંજનાબેન પંચાસરાને તો અમારા વોર્ડના કાર્યકરો પણ ઓળખતા નથી. આવા અજાણ્યા ઉમેદવારને ટિકિટ આપવાથી વોર્ડ નં. 13માં પાર્ટીને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે."
જાગૃતિબેને વધુમાં ઉમેર્યું હતું કે, ટિકિટ વહેંચણી બાબતે તેમની સાથે કોઈ જ સંકલન કરવામાં આવ્યું નથી. તેમની ભલામણો પર ધ્યાન આપવામાં આવ્યું નથી, જે કાર્યકરોનું મનોબળ તોડવા સમાન છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ સક્રિય વ્યક્તિને ટિકિટ આપે તો વિરોધ નથી, પરંતુ જમીની સ્તરના કાર્યકરોથી અજાણ વ્યક્તિને મેદાનમાં ઉતારવી એ પક્ષ માટે જોખમી સાબિત થઈ શકે છે. ચૂંટણી પહેલા જ રાજકોટ કોંગ્રેસમાં ઉભો થયેલો આ આંતરિક અસંતોષ આગામી દિવસોમાં કેટલો ભારે પડે છે અને પક્ષ ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહે છે કે નહીં તે જોવું રહ્યું.

