VIDEO: પાટણ જિલ્લામાં અનરાધાર વરસાદ બાદ સરસ્વતી, ઉમરદાશી, મોયણી નદીમાં નવી નીરની આવક
VIDEO: ગુજરાતમાં ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાતમાં અનરાધાર મેઘમહેર યથાવત્ છે. પાટણ, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં ધોધમાર આઠ ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. જેથી ઉમરદાશી, મોયણી અને સરસ્વતી નદીમાં સારા એવા પાણીની આવક નોંધાઈ છે. નદીમાં નવા પાણીની આવક થતા વામૈયા, હિશોર નજીક ત્રિવેણી સંગમ ખાતે ગ્રામજનો ઉમટયાં હતા. આટલું ઓછું હોય તેમ ડીપ અને નદીમાં ન્હાવાનું ગ્રામજનો જોખમ લઈ રહ્યા છે. યુવાનોમાં સેલ્ફી લઈને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે. જેથી સુરક્ષા વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પાટણ જિલ્લાની સુકીભઠ્ઠ એવી સરસ્વતી નદીમાં વરસાદને લીધે નવા નીર આવતા સરસ્વતી નદી બેકાંઠે વહેતી થઈ છે. ઉપરાંત સરસ્વતી જળાશયમાં 400 ક્યુસેક્સ પાણીની આવક થઈ છે. નવા નીર આવતા ખેતી માટે સિંચાઈનું પાણી અને ભૂગર્ભ જળસંચય થતા પાણીના તળ ઊંચા આવશે.
સરસ્વતી નદીમાં નવા નીર આવ્યાં
પાટણ જિલ્લાની એકમાત્ર 50 વર્ષ જૂની સરસ્વતી જળાશય યોજના જે 1972માં ખુલ્લી મૂકવામાં આવી હતી. 6721 હેકટરના સિંચાઈ વિસ્તારને લાભ મળે છે. આ યોજના 81 મીટર ઉંચાઈ ધરાવે છે તેની લંબાઈ 3 માઈલ એટલે કે, આશરે 5 કિલોમીટરનો ઘેરાવો છે. આ જળાશય યોજના શાખા નહેર, પેટાનહેરની 71 કિલોમીટર સુધી પાણી મોકલાય છે. સરસ્વતી બેરેજ થકી ખાન સરોવરમાં 18.15 ઘન કયુબિક મીટર પાણીનો સંગ્રહ તેમજ વત્રાસર તળાવમાં 14.41 ઘન કયુબિક પાણી સ્ટોર થાય છે.
સરસ્વતી નદીમાં નવું પાણી આવતા 23 ગામડાંને રાહત
ગુજરાતમાં ચોમાસું સમયસર શરૂ થયું છે અને નોંધપત્ર વરસાદ પાટણ જિલ્લામાં વરસ્યો છે. પાટણ જિલ્લામાં વરસેલા વરસાદને લીધે ઉમરદાશીમા નવું પાણી આવતા વહેલી સવારે સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ અંદાજે 400 ક્યુસેક્સ પાણીનો જથ્થો છોડવામાં આવ્યો હતો. આજે સરસ્વતી નદીમાં પાણીનો નવો જથ્થો આવી જતા આ પાણીથી 23 જેટલા ગામોને સિંચાઈનો લાભ સાથે જળસંચય થતા ભૂગર્ભ પાણીના તળ ઉંચા આવશે.

