Pakistan news: પાકિસ્તાનમાં ભીષણ માર્ગ અકસ્માતમાં 9નાં મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત

Pakistan news: પાડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારી, વીજળીનો કમરતોડ ભાવ, અસ્થિર રાજકીય સ્થિતિ અને અકસ્માતોની વણઝાર વચ્ચે પાકિસ્તાનમાં રવિવાર તા. 27 જુલાઈ એક ભીષણ બસ અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકોનાં મોત થયા અને 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બસ ઈસ્લામાબાદથી લાહોર જઈ રહી હતી. બસ પંજાબ પ્રાંતના ચકવાલ જિલ્લાના બલકસાર પાસે ખીણમાં ખાબકી. આ બસમાં કુલ 40થી વધુ મુસાફરો સવાર હતા.
અકસ્માત થવાનું કારણ
પાકિસ્તાનમાં આવેલા પંજાબ પ્રાંતના ચકવાલ જિલ્લામાં બસનું ટાયર ફાટી જતા ડ્રાયવરે બસ પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેથી બસ પલટી અને ખીણમાં જઈને ખાબકી હતી. આ અકસ્માતમાં નવ લોકોનાં મોત નિપજયા અને 30થી વધુ પ્રવાસીઓ ઘાયલ થયા છે. 8 મુસાફરોનાં ઘટનાસ્થળે મોત થયા, જ્યારે એક મુસાફરે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોતને ભેટયો હતો. મૃતકોમાં બસના ડ્રાયવરનો પણ સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને ચકવાલ જિલ્લાના સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સીએમ મરિયમ નવાઝે દુ:ખ વ્યક્ત કર્યું
મળતી માહિતી અનુસાર, ઈજાગ્રસ્તોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સીએમ મરિયમ નવાઝે દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરી પીડિત પરિવારે પ્રત્યે સંવેદના પાઠવી હતી. સીએમ મરિયમ નવાઝે અધિકારીઓને જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર પૂરુી પાડવામાં આવે.
અકસ્માતો અગાઉ પણ સર્જાયા છે
તમને જણાવી દઈએ કે, આ વર્ષે એપ્રિલ મહિનામાં પણ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક દુ:ખદ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત 11 લોકોનાં મોત થયા હતા. જરાનવાલામાં એક પેસેન્જર બસ અને થ્રી-વ્હીલર વચ્ચે અકસ્માત થયો હતો. બસ જરાનવાલાથી લાહોર જઈ રહી હતી ત્યારે તે થ્રી-વ્હીલર સાથે અથડાઈ હતી. ખરાબ રસ્તાઓ, સલામતી જાગૃતિનો અભાવ અને ટ્રાફિક નિયમોનું અજ્ઞાન ઘણીવાર પાકિસ્તાનમાં જીવલેણ અકસ્માતો તરફ દોરી જાય છે.

