VIDEO: અમદાવાદના બાવળામાં ભારે વરસાદ બાદ ઠેર-ઠેર પાણી ભરાતા જનજીવનને અસર
VIDEO: અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની તોફાની બેટિંગ ત્રણ દિવસથી શરૂ થઈ છે. ત્યારે અમદાવાદ જિલ્લાના બાવળામાં ભારે વરસાદ બાદ જનજીવનને અસર થઈ છે. બાવળામાં બે દિવસના વરસાદ બાદ ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા.
અમદાવાદના બાવળા શહેરમાં ધોધમાર વરસાદને લીધે પાણી ભરાવાની સમસ્યા સર્જાતા રાહદારીઓ, વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાની નોબત આવી છે. બાવળા હાઈવે પર આવેલા રજોડા ગામના પાટિયા પાસે વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકો અટવાઈ પડયા હતા. જેથી ભારે ટ્રાફિક જામની સમસ્યા થઈ. બાવળાની વૈશાલી સોસાયટી પાસે ઢીંચણ સમા પાણી ભરાતા હજારો વાહનચાલકોને હાલાકી વેઠવી પડી. મોટી સંખ્યામાં બાઈકચાલકોના બાઈકો પાણીમાં બંધ પડી ગયા હતા ઉપરાંત બાઈકોના સાઇલેન્સરમાં પાણી ભરાઈ જતા બાઈકો બંધ પડી ગયા હતા. વલ્લભ નગર સોસાયટી, ગાંધીનગર સોસાયટી, વણકરવાસ, રબારીવાસ,બાવળા સરકારી આરોગ્ય કેન્દ્રમાં પણ પાણી ભરાયા હતા. સરકારી કચેરીઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા.
બાવળાની ગર્લ્સ સ્કૂલ રોડ, સ્કૂલ રોડ ઉપર, પક્ષી ભુવન, બાવળા પોલીસ સ્ટેશન અને બાવળા મામલતદાર કચેરી પાસે આવેલા રેલવેના અંડરપાસમાં, સંત આશ્રમ, બાવળા નગરપાલિકા પાસે બસ સ્ટેન્ડ પાસે પોલીસ સ્ટેશન પાસેના પાછળના ભાગમાં આવેલ બળિયાદેવ વિસ્તારમાં પદ્માવતી ફ્લેટ ,રત્નાદીપ સોસાયટીના મકાનોમાં પાણી ભરાયા હતી. રાસમ રોડ ઉપર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે. જેના લીધે લોકોને હાલાકી પડી રહી છે. પાણી ભરાયેલા અશકસ વિસ્તારના લોકો કહી રહ્યા છે કે અમારે ત્યાં લાઈટ પણ નથી તો લાઈટની વ્યવસ્થા કરવામાં આવે પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં અને અમારું જે રાશન પલળી ગયું છે તો તંત્ર દ્વારા કોઇ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે.
બાવળા વોર્ડ નંબર સાતના BSPના કોર્પોરેટર કાળુભાઈ ચૌહાણ જણાવ્યું હતું કે બાવળા નગરપાલિકામાં ચૂંટણી સમયે ટાય પડી હતી ત્યારે મેં ભાજપને ટેકો આપ્યો હતો અને લોકોનાં વિકાસના કામો થશે તેવી આશા હતી. પરંતુ થોડા દિવસ પહેલા જ મેં વિરોધ કર્યો હતો અને હાલ જે પાણી ભરવાની સમસ્યા છે જેનાથી લોકો હાલાકી અને સમસ્યા ભોગવી રહ્યા છે.વધુમાં તેમને જણાવ્યું હતું કે, ગયા વર્ષે પણ પાણી ભરવાની સમસ્યા સર્જે તે સમયે જિલ્લા કલેકટર ધારાસભ્ય સહિતના નેતાના અધિકારીઓ આવ્યા હતા અને કાયમી પાણી નીકળી વ્યવસ્થા કરવામાં આવશે તેવું જણાવ્યું હતું પરંતુ આ બધા વાયદાઓ ખાલી ફક્ત કાગળ ઉપર રહ્યા છે અને હાલ બાવળાની જનતા સમસ્યા અને હાલાકી ભોગવી રહેશે તેવા આક્ષેપો કર્યા હતા.

