Indian Railways: મંગળવારે આદરજ મોટી–વિજાપુર રેલવે સ્ટેશન વચ્ચે સ્પીડ ટ્રાયલ લેવાશે

Indian Railways: પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના આદરજ મોટી–વિજાપુર રેલ ખંડ (39.75 કિમી)નું ગેજ પરિવર્તન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ખંડ હવે મીટર ગેજમાંથી બ્રોડ ગેજમાં રૂપાંતર થઈ આધુનિક, સુરક્ષિત અને કાર્યક્ષમ રેલ સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ ખંડનું સુરક્ષા નિરીક્ષણ (સેફ્ટી ઈન્સ્પેક્શન) રેલ સુરક્ષા કમિશનર (CRS), પશ્ચિમ સર્કલ દ્વારા 29 અને 30 ડિસેમ્બર 2025ના રોજ કરવામાં આવી રહ્યું છે.
આદરજ મોટી–વિજાપુર સેકશનમાં નવી પરિવર્તિત બ્રોડ ગેજ રેલવે લાઇન પર તારીખ 30 ડિસેમ્બર 2025ના રોજ 120 કિમી પ્રતિ કલાકની ગતિએ સ્પીડ ટ્રાયલ કરવામાં આવશે. આમ જનતા, મજૂરો, ખેડૂતો અને સ્થાનિક નિવાસીઓને વિશેષ વિનંતી છે કે તેઓ રેલવે ટ્રેકની નજીક ન જાય, કોઈપણ પરિસ્થિતિમાં ટ્રેક પાર ન કરે તથા બાળકો અને પશુઓને રેલ લાઇનથી દૂર રાખે.આ રેલ ખંડમાં કુલ 01 મેજર બ્રિજ, 44 માઇનર બ્રિજ અને 35 રોડ અંડર બ્રિજ (RUB)નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રેલ ખંડમાં આદરજ મોટી, રાંધેજા, ઉનાવા–વાસન, મકાખડ, લોદરા અને વિજાપુર સ્ટેશનો સામેલ છે. ગેજ પરિવર્તન બાદ ટ્રેનોના સંચાલનમાં સંરક્ષા, સમયપાલન અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો થશે. આ માર્ગ દ્વારા યાત્રીઓને દેશના મુખ્ય રેલવે સ્ટેશનો અને મોટા શહેરો સાથે સીધી બ્રોડ ગેજ કનેક્ટિવિટી પ્રાપ્ત થશે.
આદરજ મોટી હાલ એક વર્તમાન દ્વિ-ગેજ જંકશન સ્ટેશન છે, જ્યાંથી આદરજ મોટી–ગાંધીનગર–અમદાવાદ(બ્રોડગેજ)અને આદરજ મોટી–કડી–કટોસણ (બ્રોડ ગેજ) લાઇનો જોડાયેલી છે. ગેજ પરિવર્તન પહેલાં આદરજ મોટી–વિજાપુર એક અલગ મીટર ગેજ ખંડ હતો, જે હવે બ્રોડ ગેજમાં પરિવર્તિત થઈ એકીકૃત રેલ નેટવર્કનો ભાગ બની ગયો છે.
આ ગેજ પરિવર્તન પ્રોજેક્ટથી આદરજ મોટી–વિજાપુર વચ્ચે એકીકૃત બ્રોડ ગેજ રેલ પ્રણાલી ઉપલબ્ધ થશે. તેના પરિણામે વિસ્તારમાં રોજગારના નવા અવસર સર્જાશે, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વિકાસને વેગ મળશે તેમજ પર્યાવરણને અનુકૂળ, ટકાઉ અને ઝડપી રેલ સંપર્ક સુનિશ્ચિત થશે. સુધારેલી પરિવહન સુવિધાઓથી દૈનિક મુસાફરો, પ્રવાસીઓ અને વ્યાપારી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે, જેના કારણે પ્રદેશીય આર્થિક એકીકરણ વધુ મજબૂત બનશે.

