હોળી-ધૂળેટીએ બહુચરાજીમાં દર્શનના સમયમાં મોટો ફેરફાર; ચંદ્રગ્રહણને પગલે મંદિર તંત્રનો મહત્ત્વનો નિર્ણય
Holi 2026: મહેસાણા જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી મંદિર હોળી અને ધૂળેટીના પર્વે ભક્તોના મહેરામણથી ઉભરાતું હોય છે. જોકે, આ વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના દર્શન, આરતી અને પરંપરાગત શાહી સવારીના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ભક્તોને કોઈ અગવડ ન પડે તે હેતુથી મંદિર ટ્રસ્ટ દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
ચંદ્રગ્રહણની અસર અને દર્શનનો સમય
આગામી ફાગણી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી ધાર્મિક પરંપરા અને શુદ્ધિના નિયમો મુજબ મંદિરના દ્વાર બપોરે જ બંધ કરી દેવામાં આવશે.
ગ્રહણનો સ્પર્શ: બપોરે 3:20 વાગ્યે થશે.
ગ્રહણનો મોક્ષ (સમાપ્તિ): સાંજે 6:47 વાગ્યે થશે.
આ સૂતક કાળને ધ્યાનમાં રાખીને મંદિર દર્શન માટે બપોરે 1:00 વાગ્યે બંધ કરી દેવામાં આવશે.
નવું આરતી અને પૂજાનું ટાઈમ ટેબલ ગ્રહણના દિવસે મંદિર વહેલી સવારે 5:00 વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવશે.
પ્રાત: આરતી: સવારે 6:30 વાગ્યે યોજાશે.
રાજભોગ આરતી: સવારે 9:00 વાગ્યે સંપન્ન થશે. માતાજીની શાહી સવારીના સમયમાં ફેરફાર
બહુચરાજીમાં પૂનમના દિવસે માતાજીની શાહી સવારી નીકળવાનું વિશેષ મહત્વ છે. ગ્રહણને કારણે આ વર્ષે માતાજીની શાહી સવારી સવારે 11:15 કલાકે નિજ મંદિરથી પ્રસ્થાન કરશે. ભક્તોએ આ બદલાયેલા સમય મુજબ જ દર્શન અને સવારીનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે. નોંધનીય છે કે, આગામી બુધવારથી મંદિર ફરીથી તેના નિયમિત સમય મુજબ ભક્તો માટે ખુલ્લુ રહેશે.

