Indian railways: સાબરમતી સ્ટેશનના રીડેવલપમેન્ટ કામને પગલે બ્લોક, મુસાફરો મુશ્કેલીમાં; જાણો કઈ ટ્રેનો નહીં ચાલે

Indian railways: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવતા સાબરમતી સ્ટેશનને આધુનિક બનાવવા માટેની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. સાબરમતી સ્ટેશનના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત પ્લેટફોર્મ નંબર 01 પર હાથ ધરવામાં આવનાર એન્જિનિયરિંગ કામકાજને કારણે રેલવે પ્રશાસન દ્વારા તારીખ 27 અને 28 ફેબ્રુઆરી 2026ના રોજ બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. આ બ્લોકના કારણે જોધપુર, પાટણ અને કાટોસણ રોડ તરફ જતી કેટલીક પેસેન્જર ટ્રેનોના શિડ્યુલ પર સીધી અસર પડશે.
આંશિક રદ્દ કરાયેલી ટ્રેનોની વિગત
રેલવે દ્વારા લેવામાં આવેલા આ બ્લોકને કારણે રાજસ્થાન તરફ જતી ટ્રેનો પ્રભાવિત થઈ છે:
ટ્રેન સંખ્યા 14821 (જોધપુર–સાબરમતી એક્સપ્રેસ): 27 ફેબ્રુઆરી 2026ના રોજ આ ટ્રેન જોધપુરથી ઉપડશે પરંતુ સાબરમતી સુધી નહીં આવે. તે આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
ટ્રેન સંખ્યા 14822 (સાબરમતી–જોધપુર એક્સપ્રેસ): 28 ફેબ્રુઆરી 2026ના રોજ આ ટ્રેન સાબરમતીને બદલે આબુ રોડથી ઉપડશે. સાબરમતી અને આબુ રોડ વચ્ચેનો આ ટ્રેનનો રૂટ રદ્દ કરવામાં આવ્યો છે.
સ્થાનિક મુસાફરો માટે માઠા સમાચાર: આ ટ્રેનો સંપૂર્ણ રદ્દ રહેશે
અમદાવાદથી નજીકના શહેરોમાં અપ-ડાઉન કરતા મુસાફરો માટે નીચે મુજબની ટ્રેનો 27 ફેબ્રુઆરીએ રદ્દ રહેશે:
સાબરમતી–પાટણ–સાબરમતી ડેમુ (ટ્રેન નં. 79435/79436): ઉત્તર ગુજરાત તરફ જતા મુસાફરો માટે આ ટ્રેન બંધ રહેવાથી હાલાકી ભોગવવી પડી શકે છે.
સાબરમતી–કાટોસણ રોડ–સાબરમતી મેમુ (ટ્રેન નં. 69249/69250): આ ટ્રેન પણ શુક્રવારે પાટા પર નહીં દોડે.
મુસાફરો માટે સૂચના
રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની મુસાફરીનું આયોજન કરતા પહેલા અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈને ટ્રેનનું સ્ટેટસ તપાસી લે. બ્લોકને કારણે ટ્રેનોના ઠેરાવ અને સમયમાં ફેરફાર થઈ શકે છે.

