VIDEO: Mehsana / કડીમાં વિરાટ હિન્દુ સંમેલન; બાલકનાથજી બાપુએ જ્ઞાતિવાદ છોડવા કરી હાકલ
કડી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા આયોજિત વિરાટ હિન્દુ સંમેલનમાં હિન્દુ સમાજની એકતા અને સામાજિક સમરસતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંતો અને સંઘના પદાધિકારીઓએ વર્તમાન સમયમાં હિન્દુ ધર્મ અને રાષ્ટ્ર સામેના પડકારો અંગે સમાજને જાગૃત કર્યો હતો.
સંમેલનમાં બાલકનાથજી બાપુએ જણાવ્યું હતું કે, હિન્દુ સમાજે હવે જ્ઞાતિ-જાતિના વાડાઓમાંથી બહાર આવી રાષ્ટ્ર અને ધર્મની ચિંતા કરવાની જરૂર છે. તેમણે ભગવાન રામ અને માતા શબરીના ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું કે ભક્તિ અને સમરસતામાં કોઈ ભેદભાવ હોતો નથી. બાપુએ ભારપૂર્વક કહ્યું કે, "જેના ચિત્ત ચોખ્ખા હોય તેની જાતિ જોવાની હોતી નથી." વેદવ્યાસજીનું ઉદાહરણ આપી તેમણે સમજાવ્યું કે વ્યક્તિના કુળ કરતા તેના કર્મો મહાન હોય છે. સ્વામી વિવેકાનંદના શિકાગો સંમેલનનો ઉલ્લેખ કરી તેમણે હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું હતું અને પરિવાર તેમજ ધર્મના રક્ષણ માટે તૈયાર રહેવા હાકલ કરી હતી.
RSS આગેવાન જીગ્નેશભાઈ સોનીએ હિન્દુ સમાજમાં વ્યાપેલી જ્ઞાતિવાદની બદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ચોંકાવનારા આંકડા અને દાવા રજૂ કરતા જણાવ્યું કે કડી તાલુકાનું એક આખું ગામ ખ્રિસ્તી બની ગયું હોવાનો દાવો કરી તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. દેશના 6 રાજ્યો અને 300થી વધુ તાલુકાઓમાં હિન્દુઓ લઘુમતીમાં હોવાનો ઉલ્લેખ કરી તેમણે સાવચેત કર્યા હતા. તેમણે ચેતવણી આપી હતી કે, "જો હિન્દુઓ અત્યારે એક નહીં થાય, તો ભવિષ્યમાં હિન્દ મહાસાગરમાં જવાનો વારો આવશે. કાર્યક્રમમાં સંઘ અને પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (દાદા)ના સામાજિક સમરસતાના વિચારોને બિરદાવવામાં આવ્યા હતા. પાટણના અજીમાણા ગામના દેસાઈ પરિવારનું ઉદાહરણ આપી સમજાવવામાં આવ્યું હતું કે સમાજમાં કઈ રીતે સમાનતા લાવી શકાય છે.

