VIDEO: ખેડાના વાત્રક કાંઠે આવેલો સદીઓ જૂનો 'અજમાવત કોટ' આજે મરણપથારીએ, તંત્રની બેદરકારીથી ઈતિહાસ ભૂંસાવાને આરે
VIDEO: ગુજરાત તેના ભવ્ય ઈતિહાસ અને સ્થાપત્યો માટે જાણીતું છે, પરંતુ ખેડા જિલ્લામાં કઠલાલથી અંદાજે 30 કિમી દૂર આવેલી એક ઐતિહાસિક ધરોહર આજે અસ્તિત્વ ટકાવવા સંઘર્ષ કરી રહી છે. વાત્રક નદીના કિનારે આવેલો "અજમાવત કોટ" (Ajmavat Kot) મધ્યકાલીન સ્થાપત્યનો અદભુત નમૂનો હોવા છતાં, આજે પુરાતત્વ વિભાગની બેદરકારીને કારણે હાલ ખંડેર હાલતમાં ફેરવાઈ રહ્યો છે.
ગૌરવશાળી ઈતિહાસ અને નામ પાછળની કથા
લોકવાયકા મુજબ, આ કિલ્લાનું નિર્માણ ગોહેલ વંશના રાજવીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે, મધ્યકાલીન યુગમાં મુઘલ સામ્રાજ્યના વર્ચસ્વ દરમિયાન "સૂબા આઝમખાન" ના નામ પરથી આ કિલ્લાનું નામ 'અજમાવત કોટ' પડ્યું હોવાનું મનાય છે. આ કિલ્લો માત્ર પથ્થરો, ઈંટો અને ચૂનાના મિશ્રણથી બનેલો છે, જે તે સમયની બાંધકામ કળાની મજબૂતી દર્શાવે છે.
વીરતા અને બલિદાનની સાક્ષી
આ સ્થળ સાથે રજવાડાઓની વીરતાની ગાથાઓ પણ વણાયેલી છે. ઈતિહાસવિદોના મતે, કલરી ગઢના રાજા પ્રતાપ સિંહે આઝમ ખાનના અત્યાચારો સામે બગાવત કરી તેને પરાજય આપ્યો હતો. આજે પણ ત્યાં ઉભેલા પાળિયા તે સમયના યુદ્ધ અને શૌર્યની ગવાહી પૂરે છે. ભૂતકાળમાં અહીં શિક્ષિત કર્મકાંડી બ્રાહ્મણોનું નિવાસસ્થાન હતું, જે આજે નામશેષ થઈ ગયું છે.
સ્થાપત્યની વિશેષતા અને વર્તમાન સ્થિતિ
રચના: કિલ્લામાં મૂળ ચાર વિશાળ કમાડ હતા, જેમાંથી એક કમાડ હવે ધરાશાયી થઈ ગયો છે.
વ્યવસ્થા: કિલ્લાની આજુબાજુ હાથી અને ઘોડાઓને બાંધવા માટે તે સમયે સુયોજિત વ્યવસ્થા કરવામાં આવી હતી.
કુદરતી સૌંદર્ય: વાત્રક નદીના પટથી ઘણી ઊંચાઈએ આવેલો હોવાથી અહીંથી આસપાસનો નઝારો મંત્રમુગ્ધ કરી દે તેવો જોવા મળે છે. ખાસ કરીને ચોમાસામાં આ સ્થળ સોળે કળાએ ખીલી ઉઠે છે.
પ્રવાસન અને ફિલ્મી શૂટિંગ માટે 'હિડન જેમ'
આ સ્થળ ફોટોગ્રાફીના શોખીનો અને ફિલ્મી શૂટિંગ માટે લાજવાબ લોકેશન પૂરું પાડે છે. જોકે, સુવિધાઓના અભાવે આ એક 'હિડન જેમ' બનીને રહી ગયું છે. સ્થાનિક રહીશ સમીરભાઈ ગોસાઈ અને કિલ્લા પ્રેમી દિનેશ કુમાર ઝાલાના જણાવ્યા મુજબ, જો સરકાર આ વારસા પર ધ્યાન આપે, તો તે પ્રવાસન માટે મોટું કેન્દ્ર બની શકે છે.

