VIDEO: Junagadh / સતાધારની અનોખી પહેલ; લાકડા કે LPG-PNG વગર રોજ 10 હજાર લોકો માટે બને છે પ્રસાદ
ગીરના જંગલની બોર્ડર પર આવેલું અને લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવું પવિત્ર ધામ 'સંત આપા ગીગાનો ઓટલો' - સતાધાર આજે ભક્તિની સાથે 'શક્તિ' અને 'સ્વાવલંબન'નું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. પરંપરા અને ટેકનોલોજીના સમન્વયથી સતાધાર ધામ આજે ગુજરાતના સૌથી મોટા સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ દ્વારા ઉર્જા ક્ષેત્રે સંપૂર્ણપણે આત્મનિર્ભર બન્યું છે.
સતાધારના વિશાળ અન્નક્ષેત્રમાં દરરોજ સરેરાશ 10 હજારથી વધુ યાત્રાળુઓ પ્રસાદ ગ્રહણ કરે છે. અગાઉ આટલી વિશાળ સંખ્યામાં રસોઈ બનાવવા માટે દરરોજનું 800 થી 900 કિલો લાકડું અથવા 10 થી 15 કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો વપરાશ થતો હતો. પરંતુ હવે આ ચિત્ર બદલાયું છે. હવે અહીંની રસોઈ સંપૂર્ણપણે 'બાયોગેસ' પર તૈયાર થાય છે.
સતાધાર ધામમાં હાલ 85 ઘનમીટરની ક્ષમતા ધરાવતા 4 મોટા બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે અને અન્ય 2 પ્લાન્ટ સ્થાપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સંસ્થાની ગૌશાળામાં રહેલી 1,000 ગાયોનું દરરોજનું અંદાજે 8,000 કિલો છાણ. આ છાણને પ્લાન્ટમાં પ્રોસેસ કરી પાઈપલાઈન દ્વારા સીધું રસોડા સુધી પહોંચાડવામાં આવે છે. ગેસ બન્યા બાદ વધતા વેસ્ટ (સ્લરી)નો ઉપયોગ સંસ્થાની ખેતીમાં કુદરતી ખાતર તરીકે કરવામાં આવે છે.
આ પહેલ અંગે મહંત વિજય બાપુએ જણાવ્યું હતું કે, અમે રસોઈ બનાવવા માટે હવે સંપૂર્ણપણે આત્મનિર્ભર છીએ. ગૌમાતાના છાણનો ઉપયોગ કરીને જ અમે હજારો લોકોની રસોઈ બનાવીએ છીએ. આનાથી પર્યાવરણની સુરક્ષા પણ થાય છે અને સંસ્થાના ખર્ચમાં પણ મોટી બચત થાય છે. જ્યારે પરંપરાગત ભક્તિ સાથે આધુનિક ટેકનોલોજીનો સંગમ થાય છે, ત્યારે વિકાસનો આવો 'અલખ' જાગે છે. સતાધાર ધામ આજે દેશભરની ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે કે કેવી રીતે ગૌસેવા દ્વારા ઉર્જા ક્ષેત્રે સ્વાવલંબી બની શકાય.

