ગાંધીનગરમાં ટાઈફોઈડનો કહેર: અમિત શાહ એક્શન મોડમાં, તંત્રને યુદ્ધના ધોરણે કામગીરી કરવા કડક આદેશ
Gandhinagar news: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હાલ પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ખાસ કરીને ટાઈફોડના વધતા કેસોને પગલે સ્થિતિ ગંભીર બનતા કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે તાત્કાલિક દખલગીરી કરી છે. અમિત શાહે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને તંત્રને રોગચાળો નિયંત્રિત કરવા માટે "યુદ્ધના ધોરણે" કામે લાગી જવા આદેશ આપ્યા છે.
ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા અને માર્ગદર્શન
ગૃહમંત્રી અમિત શાહે આ ગંભીર સ્થિતિ અંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગાંધીનગર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે સીધી ચર્ચા કરી હતી. તેમણે વર્તમાન પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા.
દર્દીઓ અને સગાઓની સુવિધા પર ભાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તંત્રને સ્પષ્ટ સૂચના આપી હતી કે, હોસ્પિટલમાં દાખલ દરેક દર્દીને તબીબો દ્વારા સચોટ અને ઝડપી સારવાર મળે તે સુનિશ્ચિત કરવામાં આવે. આ ઉપરાંત દર્દીઓની સાથે આવતા સગાઓને મુશ્કેલી ન પડે તે માટે હોસ્પિટલ પરિસરમાં તેમના ભોજનની યોગ્ય વ્યવસ્થા કરવા તંત્રને આદેશ અપાયા છે.
રોગચાળાના મૂળ પર પ્રહાર: પાઈપલાઈન લીકેજ અને ચેકિંગ
પાણીજન્ય રોગચાળાને ફેલાતો અટકાવવા માટે ગૃહમંત્રીએ વહીવટી તંત્રને નીચે મુજબના એક્શન પ્લાન પર ભાર મૂકવા જણાવ્યું છે: જે વિસ્તારોમાં પાણીની પાઈપલાઈનમાં લીકેજ છે, તેનું સમારકામ તાત્કાલિક ધોરણે પૂરું કરવામાં આવે. રોગચાળો અન્ય વિસ્તારોમાં ન ફેલાય તે માટે આસપાસની તમામ પાઈપલાઈનોની સઘન ચકાસણી કરવામાં આવે. આ સિવાય દૂષિત પાણી આવતા વિસ્તારોના નાગરિકોને ક્લોરિનેટેડ અને શુદ્ધ પીવાનું પાણી મળે તેની ચોકસાઈ રાખવી. ગાંધીનગર સાંસદ તરીકે અમિત શાહની આ સીધી દેખરેખને કારણે વહીવટી તંત્ર હવે વધુ સક્રિય થયું છે અને આગામી દિવસોમાં સ્થિતિ કાબૂમાં આવે તેવી શક્યતા છે.

