VIDEO: શ્રદ્ધાનું ઘોડાપૂર: લાખો ભક્તોની હાજરીમાં અંબાજીમાં ઉજવાયો માનો પ્રાગટ્ય ઉત્સવ
VIDEO: બનાસકાંઠા જિલ્લાના જાણીતા 51 શક્તિપીઠ પૈકી અંબાજીમાં ગત રોજ પૂનમના પવિત્ર દિવસે માના જ્યોતિસ્થાન ગબ્બરની "અખંડ જ્યોત"માંથી જ્યોતનો અંશ લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોષી પૂનમ શોભાયાત્રામાં ગબ્બર પર્વત ફરતે આવેલા 51 શક્તિપીઠના મંદિરોમાંથી પણ જ્યોતનો અંશ પ્રગટાવી તેને અંબાજી મંદિર લાવવામાં આવી હતી. ગબ્બર મંદિર પર પૂજા-અર્ચના બાદ ગબ્બર મંદિર શિખર પર ધજા ચઢાવવામાં આવી હતી. ત્યારે ગબ્બર પર્વત ખાતેના નગરજનો અને પંડિતો દ્વારા જ્યોતનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગબ્બરથી લાવેલા જ્યોતને મુખ્ય મંદિરની જયોતમાં મિલાવવામાં આવી હતી. ત્યાર બાદ અંબાજી મંદિર મુખ્યદ્વાર શક્તિદ્વારે "મહાઆરતી" કરવામાં આવી હતી. સમગ્ર અંબાજી નગરમાર્ગો પર મા અંબા ભક્તજનોને દર્શન આપવા ગજરાજ પર આરૂઢ થઈ અંબાજી નગરની નગરયાત્રા નીકળવા મા આવી હતી. ભાદરવી પૂનમ જેવા મહામેળામાં ગામે ગામથી આવતા સંઘો, અનુપમ કલાત્મક રથ, ધજાઓ અને પદયાત્રી ભાવિક ભક્તો જેના દર્શન માટે પગપાળા આવે છે એવી જ રીતે માઁ અંબાના દર્શન કાજે લાખોની ભાવિક ભીડ પોષી પૂનમની શોભાયાત્રામાં ઉમટી પડે છે.
પોષી પૂનમની શોભાયાત્રા દરમ્યાન 2100 કિલો સુખડી પ્રસાદ ભક્તોને આપવા મા આવ્યો હતો. આ માટે જ પૂનમને સુખડી પૂનમ પણ કહેવાય છે. આ પૂનમને શાકમ્બરી પૂનમ પણ કહે છે કેમકે આ દિવસે જ મા ભગવતી એ દુકાળગ્રસ્ત ભૂમિને લીલોતરીના આશીર્વાદ આપ્યા હતા. આથી પોષી પૂનમે મા ભગવતીને શાકનો શણગાર કરવામાં આવ્યો છે. જેનાં દર્શનનો મહિમા છે. વર્ષ દરમ્યાનની પોષ મહિનાની ગુપ્ત નવરાત્રિ પણ આઠમથી પૂનમ સુધી મા અંબેની આરાધના કરવામાં આવે છે. રથ-ધજા, પતાકાઓ સાથે હાથી, ઘોડા, ઊંટ અને બેન્ડવાજા શરણાઈઓના સંગીત સાથે વાજતે ગાજતે ધામધૂમ પૂર્વક શુભયાત્રાનો પ્રારંભ થયો હતો. ફૂલો વરસાવતી તોપ, આદિવાસી નૃત્યો સાથે વિવિધા સાંસ્કૃતિક અને ધાર્મિક ઝાંખીઓની કતાર સાથે સમગ્ર યાત્રા અદભુત અને અલૌકિક ભાસી રહી હતી. શૈક્ષણિક સંસ્થાઓની વિવિધ વિષયો સાથેની ઝાંખીઓ આકર્ષણરૂપ હોય છે. ગામની બાલિકાઓ માથા પર શ્રીફળ કળશ લઈ હર્ષભેર માની શોભાયાત્રામાં જોડાઈ હતી. તો સંસ્કૃત પાઠશાળાના બટુકો પણ યાત્રામાં હોશભેર જોડાયા હતા.
અંબાજી ધામના માર્ગો પર ઠેર ઠેર અંબાજી નગરજનો દ્વારા શોભાયાત્રાના સ્વાગત સાથે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના સભ્યો યાત્રામાર્ગ પર સતત સેવા કરતા હોય છે. ડીજે બેન્ડ અને નાસિક ઢોલના સંગીતના તાલે લોકો નાચતા ગાતા, ગરબે રમતા હર્ષોલ્લાસ મનાવામા આવી હતી. ચારે તરફ મા અંબેની જયજયકાર ગુંજતી રહે છે. ગજરાજ પર અસવાર ગામની દેવી મા અંબેના દર્શનથી ભક્તો ગદગદ થઈ રહે છે. 40 કરતાં વધુ ઝાંખીઓ સાથે નગરમાર્ગો પર ફર્યા બાદ શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરતા સ્વર્ણિમ શિખર પર ધજાની આરોહણ કરવામાં આવી હતી.

