Gandhinagar news: આહીરોત્સવ-2025”માં આહીર સમાજના 8,000થી વધુ ભાઈઓ અને બહેનો ગરબે ઘૂમ્યા

સોર્સ : GSTV
Gandhinagar news: શરદપૂનમની પરંપરાગત ઉજવણીના ભાગરૂપે તારીખ ૬ઠ્ઠી ઑકટોબર, સોમવારના રોજ શ્રી અમદાવાદ-ગાંધીનગર આહીર સમાજ દ્વારા અનેરી પાર્ટી પ્લોટ, ગાંધીનગર ખાતે રાત્રે ભવ્ય 25મો વાર્ષિક રાસ-ગરબા મહોત્સવ “આહીરોત્સવ-2025”નું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે આ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં 8000થી પણ વધારે આહીર સમાજના ભાઈ-બહેનો ભાતીગળ અને પારંપારિક પરિધાન સાથે ઉપસ્થિત રહી મન મૂકીને ગરબા રમ્યા હતા. જેમાં મોટા ભાગની બહેનો આહીરાણીના પોષાકમાં ઉપસ્થિત રહેતાં ગાંધીનગરના આંગણે સૌરાષ્ટ્રની પરંપરાગત સંસ્કૃતિ જીવંત થઈ હતી.

શરદપૂનમની રઢિયાળી રાત્રે સુપ્રસિદ્ધ લોકગાયક બાબુ આહીર (વાગડનો મોરલો), ભાવેશ આહીર, જુલી આહીર, ગૌતમ આહીર, કલ્પેશ ડેર, રંજુ આહીર વગેરેએ ગરબાના તાલે ખેલૈયાઓને રાસ રમાડયા હતા. મુખ્ય મહેમાનમાં તલાળાના ધારાસભ્ય ભગાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા સહીતના આહીર અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી. “આહીરોત્સવ-2025”માં અમદાવાદ-ગાંધીનગર શહેરમાં રહેતા ઉચ્ચ સરકારી અધિકારીઓ, સમગ્ર પોલીસ પરિવાર સાથે ડોક્ટરો, પ્રોફેસરો, શિક્ષકો, પદાધિકારીઓ, દાતાશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રીઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતાં. આ તકે દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ખેલૈયાઓને પ્રોત્સાહન ઈનામો આપવામાં આવ્યા હતા. સાથે પ્રમુખશ્રીએ ઉપસ્થિત તમામ સમાજના બાંધવોનો આભાર વ્યક્ત કર્યો હતો.

આયોજનને સફળ બનાવવા માટે શ્રી અમદાવાદ-ગાંધીનગર આહીર સમાજના પ્રમુખ વજસીભાઈ આંબલિયા તેમજ ઉપ-પ્રમુખશ્રીઓ જેન્તી આંબલિયા, ભાર્ગવ બલદાણિયા, મંત્રી અશોક પરડવા, ખજાનચી પ્રવીણ ભાદરકા, સહ-ખજાનચી રમેશ લાડુમોર, સહ-મંત્રીશ્રીઓ નયન કરમુર, સંજય છૈયા, અશોક ચંદ્રવાડીયા, રમેશ બલદાણિયા, શામજી જીંજાળા, તેમજ માલદેભાઈ વારોતરિયા, કરસનભાઈ ભોચિયા, પ્રતાપભાઈ ડેર, મયુરભાઈ કંડોરિયા, તમામ કારોબારી સભ્યશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રીઓ, દાતાશ્રીઓ, આઈ.ટી. ટીમ વગેરેએ જહેમત ઉઠાવી હતી.


