IPO news: આઈપીઓની ભરમારથી શેરબજારની તેજી પર અસર થવાની શક્યતા- બર્નસ્ટેઈન

IPO news: ભારતીય શેર બજારોમાં હાલમાં મજબૂત આત્મવિશ્વાસનો અભાવ છે. તાજેતરના મહિનાઓમાં નબળા મેક્રોઇકોનોમિક ડેટા, નબળી કોર્પોરેટ કમાણી અને બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે સકારાત્મક ભાવના ઓછી થઈ છે, એમ બર્નસ્ટેઇન વિશ્લેષકોએ રોકાણકારોની પરિષદ પછી એક નોંધમાં જણાવ્યું હતું.
જોકે, બર્નસ્ટેઇન 2025 ના અંત સુધીમાં નિફ્ટીનો લક્ષ્યાંક 26,500 પર જાળવી રાખે છે. આનો અર્થ એ થાય કે વર્તમાન સ્તરથી માત્ર 5% નો વધારો થવાની સંભાવના છે. જોકે, તેમનું માનવું છે કે IPOનો વર્તમાન ધસારો બજારની તેજીને સીમિત કરી શકે છે. ભારતીય શેરબજારના સંદર્ભમાં બ્રોકરેજ હાઉસે ફાયનાન્શિયલ, ટેલિકોમ અને કન્ઝમ્પશન ચેઇનના કેટલાક હિસ્સાને પોતાની મુખ્ય પસંદ ગણાવી છે. કેલેન્ડર વર્ષ 2025 માં અત્યાર સુધીમાં, 74 કંપનીઓએ પ્રાથમિક બજારમાંથી કુલ રૂપિયા 85,241.08 કરોડ એકત્ર કર્યા છે. આ આંકડામાં છેલ્લા કેટલાક દિવસોમાં ખુલેલા ત્રણ મોટા આઇપીઓનો સમાવેશ થતો નથી.
માહિતી અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં પ્રાથમિક બજારમાંથી એકત્ર કરાયેલી આ ત્રીજી સૌથી મોટી રકમ છે.
તાજેતરના સમયમાં, વીવર્ક ઇન્ડિયા, ટાટા કેપિટલ અને એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ તેમના પબ્લિક ઇશ્યુ લોન્ચ કર્યા છે. આ ત્રણેય કંપનીઓ મળીને રૂપિયા 30,000 કરોડથી વધુ ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. ઓફર દસ્તાવેજો અનુસાર, ટાટા કેપિટલ આશરે રૂપિયા 15,511.87 કરોડ, એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા રૂપિયા 11,607 કરોડ અને વી વર્ક ઈન્ડિયા રૂપિયા 3,000 કરોડ ભંડોળ એકત્ર કરવા માંગે છે.
શેરબજાર માટે મુખ્ય પડકારો
ગેરે તેમની રોકાણકારોની બેઠકો પછી લખ્યું હતું કે એક મુખ્ય તારણ એ હતું કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) ભારતમાં ખૂબ જ ઓછો રસ દાખવી રહ્યા છે. 2025 સુધીમાં ભારતમાંથી લગભગ $18 બિલિયનનું રોકાણ બહાર નીકળી ચૂક્યું છે. આ પરિસ્થિતિમાં ભારતીય શેરબજાર એશિયાના અન્ય બજારોની તુલનાએ નબળું પ્રદર્શન કરી રહ્યાં છે. આ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં નિફ્ટીમાં માત્ર 5%નો વધારો થયો છે.
માહિતી અનુસાર, આ સમયગાળા દરમિયાન દક્ષિણ કોરિયાનો COPY ઇન્ડેક્સ 48%, તાઇવાનનો TAIEX 17.3% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 16% વધ્યો છે. આ ભારતીય બજારો કરતાં ઘણું સારું પ્રદર્શન છે.
ગેરેનું માનવું છે કે, એફઆઇઆઇની વાપસી માટે કેટલીક પાયાની ચીજો જરૂરી છે, ભારતને તેના લાંબા ગાળાના વિકાસના પરિબળોની સ્પષ્ટ અને નક્કર સ્થિતિની જરૂર છે. હાલમાં આ થોડું અસ્પષ્ટ લાગે છે. જો ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે કોઈ મોટો વેપાર કરાર થાય છે, તો તે ભારત માટે ફાયદાકારક બની શકે છે. અને રૂપિયાના અવમૂલ્યનનું જોખમ પણ ઘટાડી શકાય છે. વધુમાં, કાં તો મૂલ્યાંકનમાં સુધારો થવો જોઈએ અથવા કંપનીઓએ સ્થિર અને વિશ્વસનીય કમાણી વૃદ્ધિ દર્શાવવી જોઈએ.
ગેરેએ જણાવ્યું કે, ભારતનો હવે પછીના વૃદ્ધિના તબક્કામાં ત્રણ સ્તંભ મેન્યુફેક્ચિંગ, સર્વિસ સેક્ટર અને ડિજિટાઇઝેશન છે. આ ત્રણે ય આ વખતે કોઇકને કોઇક પડકારોનો સામનો કરી રહ્યા છે. આમાંના કેટલાક કારણો ભૂ-રાજકીય છે, જ્યારે અન્ય કારણો ભારતમાં રાષ્ટ્રીય સ્તરે મોટી કંપનીઓ બનાવવા માટે નવીનતા અને નીતિના અભાવ સાથે સંબંધિત છે. જો ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર કરાર નિષ્ફળ જાય છે, તો બર્નસ્ટેઇન માને છે કે "ચાઇના પ્લસ વન" વ્યૂહરચના નબળી પડી શકે છે. હરીફ બનવાને બદલે, ભારત ફક્ત ચીની ઉત્પાદનો અને રોકાણ માટેનું બજાર બનશે.
ગેરે એમ પણ લખ્યું છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્, (AI)ને ઝડપી અપનાવવાના કારણે સેવા ક્ષેત્રો અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે. જ્યારે ડિજિટાઇઝેશન હજુ પણ આવશ્યક છે, ત્યારે તેમાં મોટી યુએસ ટેક કંપનીઓનું વર્ચસ્વ છે.
અને ભારત પોતાના ડિજિટલ ઇકોસિસ્ટમ પર નિયંત્રણ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. મોટો પ્રશ્ન એ છે કે શું ભારત જનતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે પૂરતી સારી નોકરીઓ અને વાસ્તવિક વેતન વૃદ્ધિનું સર્જન કરી શકશે?
બુલ્સ હજુ પણ યુએસ-ભારત વેપાર સોદાની આશા રાખે છે. નોંધ મુજબ, ભારતના તેજીવાળાઓને આશા છે કે અમેરિકા સાથેનો ટેરિફ મુદ્દો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. આનાથી વર્તમાન 50 ટકા ટેરિફ ઘટાડીને 25 ટકા કરી શકાય છે, જે રોકાણકારો માટે વધુ સ્વીકાર્ય રહેશે.
સકારાત્મક પાસું એ છે કે, મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે જોડાયેલા ક્ષેત્રિય રોકાણને આકર્ષવાનું જળવાઇ રહેશે. વધુમાં, ચીન અને ભારત વચ્ચેના સુધરેલા સંબંધો ટેકનોલોજી અને મૂડીની સુલભતામાં વધારો કરી શકે છે, જે લાંબા ગાળાના વ્યૂહાત્મક જોખમો હોવા છતાં, ટૂંકા અને મધ્યમ ગાળામાં રોજગાર સર્જન માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
બર્નસ્ટેઇને તેની નોંધમાં જણાવ્યું છે કે, સિસ્ટમની લિક્વિડિટીમાં સુધારો, એક સમયગાળાની નિષ્ક્રિયતા બાદ નીતિગત ફેરફારો અને સંભવિત વ્યાજ દરમાં કાપની ગુંજાઇશ આર્થિક જોખમોને ઘટાડવામાં મદદ કરે છે. અમારુ પાયાનું અનુમાન છે કે, ભારતમાં 6.5 ટકાની જીડીપી વૃદ્ધિ રહેવાનો અંદાજ છે અને વૃદ્ધિમાં સ્થિર વલણ જળવાઇ રહેવાનું અનુમાન છે.

