VIDEO: અંબાજી બનશે ગુજરાતનું નંબર વન યાત્રાધામ: CM ભૂપેન્દ્ર પટેલ 950 કરોડના વિકાસકામો અને 'શક્તિ કોરિડોર'નું કરશે ખાતમુહૂર્ત
VIDEO: ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આગામી સમયમાં રાજ્યનું નંબર વન યાત્રાધામ બનવા જઈ રહ્યું છે. શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજીની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ અંદાજે રૂ. 950 કરોડના ખર્ચે સાકાર થનારા વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ પ્રસંગે રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
માતાજીના દર્શન અને શક્તિ કોરિડોર
મુખ્યમંત્રી ચીખલા હેલીપેડ પર ઉતરાણ કર્યા બાદ સીધા જ અંબાજી મંદિર પહોંચશે અને માતાજીના આશીર્વાદ લેશે. ત્યારબાદ, શક્તિદ્વાર સામેના પાર્કિંગ વિસ્તારમાં તૈયાર થનારા અત્યાધુનિક 'શક્તિ કોરિડોર' પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી શ્રદ્ધાળુઓને સુવિધાઓમાં મોટો વધારો થશે.
ત્રિશૂળિયા ઘાટીનું મુખ્ય આકર્ષણ
16 ફૂટનું ત્રિશૂળ મુખ્યમંત્રીના પ્રવાસનું સૌથી મોટું આકર્ષણ ત્રિશૂળિયા ઘાટી ખાતે સ્થાપિત કરાયેલ 'શ્રી શક્તિ ત્રિશૂળ'નું લોકાર્પણ રહેશે. 1500 વર્ષ જૂના ઉત્તરકાશીના ત્રિશૂળની પ્રતિકૃતિ રૂપે અહીં 16 ફૂટ ઊંચું અને 600 કિલો વજનનું વિશાળ ત્રિશૂળ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ પ્રતિકૃતિ ભક્તો માટે આસ્થાનું નવું કેન્દ્ર બનશે.
વહીવટી તંત્ર સજ્જ
કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી ડી.કે. ત્રિવેદી ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જાહેર સભાને સંબોધન કરશે. અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીના આગમનને પગલે સમગ્ર યાત્રાધામમાં સ્વચ્છતા અભિયાન તેજ કરવામાં આવ્યું છે અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

