Amreli news: સાવરકુંડલામાં નરભક્ષી દીપડાના હુમલાથી 5 વર્ષની બાળકીના મોત બાદ વન વિભાગે 24 કલાકમાં દીપડાને પાંજરે પુર્યો

Amreli news: અમરેલીના સાવરકુંડલાના મોટા ભમોદ્રા ગામની સીમ વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરની 5 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં બાળકીનું કરૂણ મોત નીપજ્યું હતું. શનિવારે (4 ઓક્ટોબર) દીપડાના હુમલાની ઘટનાને લઈને વનવિભાગની ટીમે ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને દીપડાને પકડી પાડવા માટે પાંજરા ગોઠવ્યા હતા. જ્યારે આજે રવિવારે (5 ઓક્ટોબર) વનવિભાગે 24 કલાકમાં નરભક્ષી દીપડાને પાંજરે પૂરાયો છે.
5 વર્ષની બાળકી પર હુમલો કરનાર દીપડો પાંજરે પૂરાયો
સાવરકુંડલાના મોટા ભમોદ્રા ખાતે દીપડાના હુમલાને લઈને સ્થાનિકોમાં ભારે ડરનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે દીપડાના હુમલાની ઘટનાને લઈને વન વિભાગની ટીમે એક્શનમાં આવી હતી અને દીપડાને પકડવા માટે 2 પાંજરા ગોઠવ્યા હતા. આજે દીપડો પાંજરે પૂરાયો છે, ત્યારે મોટા ભમોદ્રાના સ્થાનિકોએ હાશકારો લીધો છે.
શું હતો બનાવ?
મળતી માહિતી મુજબ, સાવરકુંડલાના મોટા ભમોદ્રા ગામના વાડી વિસ્તારમાં મૂળ મધ્યપ્રદેશનો એક મજૂર પરિવાર વિપુલભાઈ પારડીયા કપાસ વીણી રહ્યા હતા, આ દરમિયાન દીપડો આવીને બાળકીને ઉઠાવીને શિકાર કર્યો હતો. જેમાં ચૂટકી શેરુભાઈ પારડીયા નામની બાળકીનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને સાવરકુંડલાની વન વિભાગની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જ્યારે દીપડાને પકડી પાડવા માટે વન વિભાગની ટીમે પાંજરા ગોઠવ્યા હતા.

