VIDEO: "પ્રગતિશીલ ગુજરાતનું શરમજનક સત્ય: 2 મહિનામાં 1633 સગીરાઓ ગર્ભવતી"
VIDEO: 'વાયબ્રન્ટ' અને 'પ્રગતિશીલ' ગણાતા ગુજરાત રાજ્યના વિકાસના દાવાઓ વચ્ચે આરોગ્ય વિભાગના જ સરકારી ચોપડે નોંધાયેલા આંકડાઓએ રાજ્યની ગંભીર વાસ્તવિકતા છતી કરી છે. રાજ્યમાં બાળ લગ્ન અને કુપોષણની સમસ્યા કેટલી હદે વકરી છે, તેનો જીવતો જાગતો પુરાવો તાજેતરમાં સામે આવેલા સરકારી ડેટામાં જોવા મળ્યો છે, જે સમાજ અને સરકાર બંને માટે લાલબત્તી સમાન છે.
બે મહિનામાં 1633 સગીરાઓ ગર્ભવતી: બાળલગ્નની ગંભીર સાબિતી
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના ડેટા મુજબ, ફક્ત ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના ટૂંકા ગાળામાં જ રાજ્યમાં 1633 જેટલી સગીર વયની દીકરીઓ ગર્ભવતી બની હોવાનું સામે આવ્યું છે. આ આંકડો માત્ર સ્વાસ્થ્ય સંબંધિત નથી, પરંતુ તે સીધો ઈશારો કરે છે કે રાજ્યમાં નાની ઉંમરમાં દીકરીઓના લગ્ન કરી દેવાની કુપ્રથા હજુ પણ મોટાપાયે અસ્તિત્વમાં છે. કાયદાકીય રીતે લગ્નની ઉંમર 18 વર્ષ હોવા છતાં, આટલી મોટી સંખ્યામાં સગીરાઓ ગર્ભવતી થવી એ સમાજ માટે અત્યંત ગંભીર ચિંતાનો વિષય છે.
15 જિલ્લાઓમાં કાયદાના ધજાગરા, ખેડા મોખરે
માત્ર રાજ્ય સરકારના જ નહીં, પરંતુ ભારત સરકારના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)માં પણ સ્પષ્ટ થયું છે કે ગુજરાતમાં બાળ લગ્નનું પ્રમાણ ચિંતાજનક રીતે વધારે છે. દેશની સરેરાશ કરતાં પણ વધુ બાળ લગ્નના કેસો ગુજરાતના અનેક જિલ્લાઓમાં નોંધાઈ રહ્યા છે. ખાસ કરીને ખેડા સહિત રાજ્યના 15 જેટલા જિલ્લાઓમાં બાળ લગ્ન પ્રતિબંધક કાયદાની ખુલ્લેઆમ ધજ્જિયા ઉડી રહી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. આ સ્થિતિ દર્શાવે છે કે બાળ લગ્ન અટકાવવા માટેના કાયદાનો અમલ કરાવવામાં સરકારી તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યું છે અને સરકારી અમલવારી તદ્દન નબળી પુરવાર થઈ છે.
કુપોષણનો કાળો ભરડો: અડધોઅડધ બાળકો શિકાર
એક તરફ નાની ઉંમરે ગર્ભાવસ્થા અને બીજી તરફ કુપોષણની ગંભીર સમસ્યાએ રાજ્યની મહિલાઓ અને બાળકોને ભરડામાં લીધા છે. આંકડા મુજબ, રાજ્યમાં 65% મહિલાઓ કુપોષણનો ભોગ બની છે, જ્યારે 45% બાળકો કુપોષણનો શિકાર છે. નિષ્ણાતોના મતે, જ્યારે દીકરી પુખ્ત વયે પહોંચે અને શારીરિક રીતે સક્ષમ બને ત્યારે જ લગ્ન કરે અને સગર્ભા બને, તો જ સ્વસ્થ બાળકનો જન્મ શક્ય બને છે. પરંતુ નાની ઉંમરે ગર્ભાવસ્થા અને માતા પોતે જ કુપોષિત હોવાને કારણે 'સ્વસ્થ માતા જ સ્વસ્થ બાળકને જન્મ આપી શકે' એ સૂત્ર અહીં સાર્થક થતું જણાતું નથી.
સરકાર વાતો નહીં, કડક પગલાં ભરે: કોંગ્રેસ
આ ચોંકાવનારા આંકડાઓ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, "પ્રગતિશીલ ગુજરાત માટે આ આંકડા અત્યંત શરમજનક છે. ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં આવી સ્થિતિ હોવી તે ગંભીર બાબત છે. સરકાર માત્ર વાતો અને મતની રાજનીતિ કરવામાં વ્યસ્ત છે, પરંતુ હકીકતમાં જમીની સ્તરે કડક પગલાં અને સામાજિક જાગૃતિનો અભાવ છે."
તેમણે માંગ કરી હતી કે બાળ લગ્ન અને કુપોષણ મુક્ત ગુજરાત બનાવવા માટે સરકારે માત્ર કાગળ પર નહીં, પરંતુ વાસ્તવિકતામાં બાળ લગ્ન પ્રતિબંધક કાયદાનો કડકાઈથી અમલ કરાવવો જોઈએ અને આ દૂષણ ડામવા માટે નક્કર પગલાં ભરવા જોઈએ.

