VIDEO: બળવો રોકવા પાલડી PCC ઓફિસ છાવણીમાં ફેરવાઈ, કાર્યકરોના વેશમાં બાઉન્સરોનો પહેરો!
VIDEO: સામાન્ય રીતે રાજકીય કાર્યાલયો કાર્યકરોથી ઉભરાતા હોય છે, પરંતુ આજે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે સુરક્ષા માટે ખાસ બાઉન્સરો તૈનાત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગઈકાલે ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, અને આ લિસ્ટ બાદ પક્ષમાં આંતરિક બળવો ન ફાટી નીકળે તે માટે આ અગમચેતીના પગલાં લેવાયા હોવાનું મનાઈ રહ્યું છે.
કાર્યકર્તાના વેશમાં બાઉન્સરો
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ બાઉન્સરોને સીધા ગણવેશમાં રાખવાને બદલે કાર્યકર્તાઓના વેશમાં ગોઠવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કોઈ નારાજ ઉમેદવાર કે તેના સમર્થકો કાર્યાલય પર આવીને હોબાળો મચાવે, તોડફોડ કરે અથવા વિરોધ પ્રદર્શન કરે, તો તેમને તાત્કાલિક કાબૂમાં લેવા માટે આ વ્યૂહરચના અપનાવવામાં આવી છે.
કેમ પડી બાઉન્સરોની જરૂર?
ભૂતકાળમાં ઘણી વખત જોવા મળ્યું છે કે ટિકિટ ન મળતા કાર્યકરો પક્ષના કાર્યાલય પર આવીને તોડફોડ કરતા હોય છે અથવા નેતાઓનો ઘેરાવો કરતા હોય છે. આ વખતે કોંગ્રેસે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. ખાસ કરીને અમદાવાદની બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર થયા બાદ અસંતોષની જ્વાળા ભભૂકી શકે તેવી આશંકા સેવાઈ રહી છે.
રાજકીય ચર્ચાઓ તેજ
કોંગ્રેસ કાર્યાલય પર બાઉન્સરોની હાજરીને લઈને રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે. વિરોધ પક્ષો આ મુદ્દે કટાક્ષ કરી રહ્યા છે કે જે પક્ષને પોતાના જ કાર્યકરો પર વિશ્વાસ નથી, તે જનતાનો વિશ્વાસ કેવી રીતે જીતશે? બીજી તરફ, કોંગ્રેસના શિસ્તબદ્ધ કાર્યકરોમાં પણ આ બાબતને લઈને આંતરિક ગણગણાટ જોવા મળી રહ્યો છે.

