VIDEO: તાપીમાં સસ્તા અનાજની દુકાને ખંડણી માંગવા ગયેલી સુરતની ત્રિપૂટી જેલભેગી
VIDEO: તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પીઠાદરા ગામે પત્રકારત્વના પવિત્ર વ્યવસાયને બદનામ કરતી એક ઘટના સામે આવી છે. સુરતથી આવેલા ત્રણ કથિત પત્રકારોએ ગરીબોના હક્કનું અનાજ આપતી સસ્તા અનાજની દુકાન પર જઈને સંચાલકને ધાકધમકી આપી ખંડણી માંગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સંચાલકની સતર્કતા અને પોલીસની ત્વરિત કાર્યવાહીને કારણે આ ત્રિપૂટી અત્યારે જેલના સળિયા ગણી રહી છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી વિગતો મુજબ, સુરત શહેરના રહેવાસી નરેન્દ્ર મદનમોહન સિંહ, સપનાસિંઘ રાજપૂત અને હિરેન મહેતા પોતાની વૈભવી કાર લઈને પીઠાદરા ગામે સરકારી સસ્તા અનાજની દુકાને પહોંચ્યા હતા. ત્યાં તેમણે પોતાને પત્રકાર તરીકે ઓળખાવી સંચાલક પર ખોટા આક્ષેપો કર્યા હતા કે, "તમે અનાજ ઓછું આપો છો અને તેની ફરિયાદ અમારી હેડ ઓફિસે થઈ છે."
આ ત્રિપૂટીએ સંચાલક પર દબાણ લાવતા કહ્યું કે જો તમારે ઈન્ટરવ્યૂ ન આપવું હોય તો 21 હજાર રૂપિયા આપવા પડશે. ગભરાઈ ગયેલા સંચાલકે જ્યારે તેમની પાસે પ્રેસ આઈ-ડી કાર્ડ માંગ્યા, ત્યારે આ કથિત પત્રકારો ગલ્લાં-તલ્લાં કરવા લાગ્યા હતા.
સંચાલકની સતર્કતા અને પોલીસ એક્શન
આઈ-ડી કાર્ડ બતાવવામાં નિષ્ફળ રહેલા કથિત પત્રકારો ત્યાંથી રવાના થતા સંચાલકને શંકા ગઈ હતી. તેમણે તરત જ ડોલવણ પોલીસનો સંપર્ક કર્યો અને આ ત્રણેયને પોલીસ મથકે લઈ આવ્યા હતા. તાપી ડીવાયએસપી પ્રમોદ નરવડેના માર્ગદર્શન હેઠળ પોલીસે ગુનો દાખલ કરી ત્રણેયની ધરપકડ કરી છે અને ગુનામાં વપરાયેલી કાર પણ કબજે કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગે અગાઉ અન્ય કોઈ સરકારી કચેરી કે વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવી છે કે કેમ.

