VIDEO: ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ; 7000 લીટર દૂધપાક, 3000 કિલો શાક સહિત મહાપ્રસાદની વિશાળ તૈયારીઓ
અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીની પવિત્ર નેત્રોત્સવ વિધિ શરૂ થઈ છે. વિશેષ પૂજા-અર્ચના બાદ પરંપરા મુજબ ભગવાનની આંખે કેસરી રંગના ઉપરણાથી પાટા બાંધવાની વિધિ કરવામાં આવશે. માન્યતા મુજબ મોસાળમાં કેરી, જાંબુ, માવા અને વિવિધ મીઠાઈનો પ્રસાદ આરોગ્યા બાદ ભગવાનને આરામ આપવા માટે આ વિધિ કરવામાં આવે છે. રથયાત્રાના દિવસે ભગવાનના પાટા ખોલવામાં આવશે. ત્યારબાદ ધ્વજારોહણ અને સાધુ-સંતોના ભંડારાનું આયોજન કરવામાં આવશે. મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે
ભવ્ય ભંડારાનું આયોજન
અમદાવાદના જગન્નાથ મંદિરમાં જળયાત્રા પૂર્ણ થયા બાદ આજે ભગવાન મંદિર પરત ફર્યા છે. નેત્રોત્સવ વિધિ બાદ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો પ્રસાદ ગ્રહણ કરશે. ભંડારા માટે 7 હજાર લીટર દૂધપાક, 3 હજાર કિલો બટાકાનું શાક, 2 હજાર કિલો ચણા, 1200 કિલો ભાત, 1500 કિલો લોટની પુરી, 4 હજાર લીટર કઢી અને 400 કિલો ભજીયાની વિશાળ તૈયારીઓ કરવામાં આવી છે. રથયાત્રા પૂર્વે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ વચ્ચે સેવા અને પ્રસાદની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
દૂર દૂરથી સંતો અમદાવાદ આવશે
ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર જ ફરશે. જેના અગ્રભાગમાં 18 શણગારેલા ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડવાજાવાળા રહેશે. સાધુસંતો-ભક્તો સાથે 1000 થી 1200 જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચશે. દેશભરમાંથી 2500થી વધુ સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી આ પ્રસંગે ભાગ લેવા આવવાના શરૂ થઈ ગયા છે.

