ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટ તરફથી મોટી રાહત: વિધાનસભા સત્રમાં હાજરી આપવા 7 દિવસના શરતી જામીન મંજૂર

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી આપવા માટે આમ આદમી પાર્ટી (આપ)ના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી છે. હાઇકોર્ટે તેમની અરજી ગ્રાહ્ય રાખતા સાત દિવસના શરતી હંગામી જામીન મંજૂર કર્યા છે. આ દરમિયાન હાઇકોર્ટે જામીન આપવાની સાથે કેટલીક શરતો પણ લાદી છે.
આ શરતોમાં કહેવાયું છે કે, જામીન સમયગાળા દરમિયાન ચૈતર વસાવા ગાંધીનગર છોડી શકશે નહીં અને તેમણે વિધાનસભાના સત્રમાં હાજરી આપવાની રહેશે. આ ઉપરાંત કોર્ટે તેમને મીડિયા સાથે વાતચીત કરવા કે કોઈ પણ પ્રકારનું નિવેદન આપવા પર પણ મનાઈ ફરમાવી છે. વિધાનસભા સત્રમાં હાજરી આપી પ્રજાકીય પ્રશ્નો રજૂ કરી શકાય તે માટે ચૈતર વસાવાએ હાઇકોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરી હતી.
શું હતી સમગ્ર ઘટના?
આ સમગ્ર વિવાદની શરૂઆત ઑક્ટોબર-નવેમ્બર 2023 દરમિયાન થઈ હતી. નર્મદા જિલ્લાના બોગાજ ગામ નજીક વન વિભાગની સરકારી જમીન પર સ્થાનિક લોકો દ્વારા કરાયેલું ગેરકાયદે અતિક્રમણ અને પાક વનકર્મીઓએ હટાવી દીધો હતો. આ જમીન વિવાદ અંગે ચર્ચા કરવાના બહાને ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને દેડિયાપાડા ખાતે પોતાના નિવાસસ્થાને બોલાવ્યા હતા.
વન વિભાગની ફરિયાદ અનુસાર, વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ચૈતર વસાવા તથા તેમના સમર્થકોએ વનકર્મીઓ સાથે મારપીટ કરી હતી. એટલું જ નહીં, સરકારી કર્મચારીઓને ડરાવવા માટે હવામાં એક રાઉન્ડ સરેઆમ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તેમની પાસેથી ખંડણીની માગણી પણ કરાઈ હતી. આ ઘટના બાદ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા અને તેમના સાથીઓ સામે રાયોટિંગ, આર્મ્સ એક્ટ અને ખંડણી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
સેશન્સ કોર્ટે ફટકારી હતી 7 વર્ષની સજા
આ કેસમાં 23 જૂન 2026ના રોજ નર્મદા જિલ્લાની રાજપીપળા એડિશનલ સેશન્સ કોર્ટે ચુકાદો આપતાં ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત એકંદરે 9 આરોપીઓને દોષિત જાહેર કરીને 7 વર્ષની સખત કેદની સજા અને રૂ. 25000થી રૂ. 96000 સુધીનો દંડ ફટકાર્યો હતો.

