Ahmedabad news: સાયકો કિલરના એન્કાઉન્ટર દરમ્યાન ઘાયલ પોલીસ જવાનના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખબર-અંતર પૂછયા

Ahmedabad news: સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર અડાલજ નર્મદા કેનાલ પર લૂંટ વિથ મર્ડર કેસના સાયકો કિલર વિપુલ પરમારના પોલીસ એન્કાઉન્ટર દરમિયાન ઘાયલ થયેલા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ વાઘેલાની રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અન્ય પોલીસ અધિકારીઓએ હોસ્પિટલ ખાતે મુલાકાત કરીને ખબર-અંતર પૂછ્યા અને પરિવારજનોને હિંમત આપી હતી.
તેમની હિંમત, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા ખરેખર પોલીસ સેવાના શ્રેષ્ઠ મૂલ્યો દર્શાવે છે. તેઓ જલ્દી ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
મળતી વિગતો અનુસાર, ગાંધીનગર શહેર નજીક આવેલા અડાલજની નર્મદા કેનાલ નજીક બનેલી લૂંટ વિથ મર્ડર કેસના સાઈકો કિલર આરોપી વિપુલ પરમારનું પોલીસે બે દિવસ અગાઉ બુધવારે (24 સપ્ટેમ્બર) એન્કાઉન્ટર કર્યુ હતું. જે દરમ્યાન ઈજાગ્રસ્ત થયેલા પોલીસ જવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ આજે સાંજે ગૃહમંત્રી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમે પોલીસ કૉન્સ્ટેબલને મળીને ખબર-અંતર પૂછ્યા હતા. એન્કાઉન્ટર દરમ્યાન સાયકો કિલર પોલીસ પાસેથી બંદૂક ઝૂંટવી પલાયન થઈ જતો હતો આ દરમ્યાન સામસામે ગોળીબાર થયો હતો. જેમાં બે જેટલા પોલીસ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા.
શું હતી આખી ઘટના?
ગાંધીનગર જિલ્લાના અડાલજ વિસ્તારમાં આવેલા અમીયાપુર નજીક કેનાલ પાસે શનિવારે લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો હતો. શહેરના સરદાર નગર વિસ્તારમાં રહેતા વૈભવ નામના યુવકનો જન્મદિવસ હોવાથી તે એક યુવતી સાથે અમિયાપુર નજીક કેનાલ પાસે બર્થ-ડે મનાવવા ગયો હતો. આ દરમિયાન, લૂંટારુએ તેમના પર હુમલો કર્યો હતો. અમદાવાદના રહેવાસી વૈભવનો મૃતદેહ રસ્તા પર પડ્યો હતો, તેના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા હતા. તેની સાથે રહેલી મોટેરા વિસ્તારની યુવતી અર્ધબેભાન અવસ્થામાં અને અનેક ઈજાઓ સાથે નજીકમાં મળી આવી હતી. તેને તાત્કાલિક અમદાવાદની અસારવારની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેની ઈમરજન્સી સર્જરી કરી હતી. વૈભવની કાર કેનાલના પુલ પર થોડા અંતરે મળી આવી હતી. જે બાદ પોલીસે રાત-દિવસની શોધખોળ બાદ રાજકોટ પાસેથી સાયકો કિલરને ઝડપી લીધો હતો.

