Ahmedabad news: અમદાવાદના ડૉ. કંદર્પ પરીખની મોટી સિદ્ધિ: 'યુરોલૉજી સોસાયટી ઑફ ઈન્ડિયા'ના પ્રમુખ પદે વરણી, ગુજરાતનું વધાર્યું માન

Ahmedabad news: ગુજરાતના તબીબી જગત માટે આજે એક અત્યંત ગર્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ખ્યાતનામ યુરોલોજીસ્ટ ડૉ. કંદર્પ પરીખની પ્રતિષ્ઠિત 'યુરોલોજી સોસાયટી ઓફ ઈન્ડિયા' (USI)ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. વર્ષ 2026 માટે તેઓ આ પિતૃ સંસ્થાના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળશે અને 2027માં પ્રમુખ તરીકે પદભાર સંભાળશે.
ઐતિહાસિક જીત
ઘણા વર્ષોના અંતરાલ બાદ અમદાવાદમાંથી કોઈ તબીબ આટલા મોટા અને નિર્ણાયક માર્જિનથી આ સર્વોચ્ચ પદ પર ચૂંટાયા છે. યુરોલોજી સોસાયટી ઓફ ઈન્ડિયા એ ભારતના તમામ યુરોલોજીસ્ટનું પ્રતિનિધિત્વ કરતી સર્વોચ્ચ સંસ્થા છે અને સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ તે વિશ્વની સૌથી મોટી યુરોલોજીસ્ટ સંસ્થાઓમાંની એક ગણાય છે.
ભવિષ્યનું વિઝન
પોતાની આ સફળતા પર ખુશી વ્યક્ત કરતા ડૉ. કંદર્પ પરીખે જણાવ્યું હતું કે, "આ મારા અને સમગ્ર ગુજરાત માટે ગર્વની ક્ષણ છે. મારા કાર્યકાળ દરમિયાન મારો મુખ્ય ઉદ્દેશ્ય યુરોલોજી સમુદાયના લાભાર્થે આંતરરાષ્ટ્રીય સ્તરે નવા સહયોગ (International Collaborations) સ્થાપિત કરવાનો રહેશે, જેથી ભારતીય તબીબી ક્ષેત્રને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ મળી શકે."
નોંધનીય છે કે ડૉ. કંદર્પ પરીખ અમદાવાદની શ્યામ સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે જોડાયેલા છે અને યુરોલૉજી ક્ષેત્રે વર્ષોનો બહોળો અનુભવ ધરાવે છે.

