Kankaria Carnival: અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો CM ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો, 507 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

Kankaria Carnival: અમદાવાદ શહેરમાં આવેલા જાણીતા અને ઐતિહાસિક કાંકરિયા તળાવ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવવાની સાથે 507 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરાવ્યું હતું. આ દરમ્યાન કાર્નિવલના પહેલા દિવસે માનવ મહેરામણ ઉમટી પડયો હતો. મુખ્યમંત્રીએ 527 કરોડના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. અમદાવાદમાં આજથી રંગેચંગે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે. ટીબી મુકત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભવ્ય પરેડને લીલી ઝંડી આપી હતી. કાંકરિયા કાર્નિવલ 25થી 31 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.
કાંકરિયા કાર્નિવલના પહેલા દિવસે લોકગાયક કીર્તિદાન ગઢવી પર્ફોમ કરશે. આ ઉપરાંત દરરોજ ખ્યાતનામ કલાકારો પર્ફોમ કરશે.દરરોજ કાંકરિયા કાર્નિવલમાં લેઝર શો, સંગીત શો, ડાન્સ સ્પર્ધા યોજાશે. 3500 કર્મચારીઓ આજે ગિનિસ રેકોર્ડ સર્જશે. 3500 સફાઈ કર્મચારીઓ બલૂન મોઝેક તૈયાર કરશે.
કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો ત્યારે સુંદર અને રંગબેરંગી લાઈટ્સ ઝળહળી ઉઠી હતી. ત્યારબાદ સીએમ દ્વારા પ્રાસંગિક સંબોધન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની આજે જન્મજયંતી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ-2014માં કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરાવી હતી. જે સામાન્ય વર્ગનાં લોકોને પોસાય તેવા ખર્ચથી હેપ્પીનેસ ઈન્ડેક્સ અપનાવ્યો છે. અમદાવાદ મહાનગરને કાંકરિયા, રિવરફ્રન્ટ, શોપિંગ ફેસ્ટિવલ જેવા અનેક પ્રકલ્પો આપ્યા છે. કાંકરિયા કાર્નિવલ વિકાસ કાર્નિવલ બન્યો છે. તેમને વધુમાં જણાવ્યું કે, બીબાઢાળ વ્યવસ્થા કરતાં બે ડગલા આગળ વધવાનું આ વિઝન છે. કાંકરિયા પહેલા ગંદકીથી ખદબદતી હતું બાદમાં વિકાસ થયો જેથી કાર્નિવલથી નવી ઓળખ કાંકરિયાને મળી છે. 2024માં 42 લાખથી વધુ લોકોએ કાંકરિયા કાર્નિવલને માણ્યો હતો.

